અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ (SVPIA) પર પિકઅપ અને ડ્રોપ માટેની સમયમર્યાદા ઘટાડવાના નિર્ણયથી મુસાફરો અને તેમના સગા-સંબંધીઓને લેવા-મૂકવા આવતા લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. એરપોર્ટ ઓથોરિટી દ્વારા મુસાફરોને તેમના વાહનમાંથી ઉતારવા કે બેસાડવા માટેનો ફ્રી સમય ૧૦ મિનિટથી ઘટાડીને ૮ મિનિટ કરવામાં આવ્યો છે.
જો કોઈ વાહનચાલક આ ૮ મિનિટની સમયમર્યાદામાં પોતાનું વાહન લઈને એરપોર્ટ પરિસરમાંથી બહાર નહીં નીકળે, તો તાત્કાલિક ફાસ્ટ ટેગ સિસ્ટમ દ્વારા તેના ખાતામાંથી ₹૧૦૦ થી ₹૧૫૦ સુધીનો ચાર્જ (ચાંદલો) કાપી લેવામાં આવશે.
૮ મિનિટમાં બહાર નીકળવું ‘અશક્ય’: લોકોનો આક્રોશ
એરપોર્ટ પર પોતાના સંબંધીઓને લેવા કે મૂકવા આવતા લોકો આ નવા નિયમને અવ્યવહારુ ગણાવી રહ્યા છે. લોકોનું સ્પષ્ટ કહેવું છે કે, ૮ મિનિટમાં પિકઅપ કે ડ્રોપની પ્રક્રિયા પૂર્ણ કરવી વ્યવહારિક રીતે શક્ય જ નથી.
નારાજગી વ્યક્ત કરતાં લોકોએ જણાવ્યું કે:
- લગેજ ક્લેઇમ: પેસેન્જરને ફ્લાઇટમાંથી બહાર નીકળીને પોતાનો લગેજ ક્લેઇમ કરવામાં જ સામાન્ય રીતે ૧૦ થી ૧૫ મિનિટનો સમય લાગી જાય છે.
- ટ્રાફિક અને લોડિંગ: આટલો સમય વીત્યા પછી, ગાડી સુધી પહોંચવું, બેગ ગાડીમાં મૂકવી, ગાડી સ્ટાર્ટ કરવી અને એરપોર્ટ પરના ટ્રાફિકમાંથી ૮ મિનિટમાં બહાર નીકળવું એ તો ચમત્કાર થાય તો જ શક્ય છે.
એરપોર્ટ ઓથોરિટીનો મત:
બીજી તરફ, અમદાવાદ એરપોર્ટના PRO (પ્રોજેક્ટ રિલેશન ઓફિસર) કરણ વાઢેરાએ આ નિયમનો બચાવ કર્યો છે. તેમણે જણાવ્યું કે, ઓથોરિટી દ્વારા આ અંગે ચેક કરવામાં આવ્યું હતું અને તેમને તો પિકઅપ અને ડ્રોપઆઉટ માટે ૫ મિનિટ પણ પૂરતી (ઇનફ) લાગી રહી છે.
જોકે, મુસાફરોના આક્રોશને જોતા પાલિકાના આ નિર્ણયથી એરપોર્ટ પર નારાજગી અને દંડનો ભોગ બનવાની ફરિયાદો વધે તેવી સંભાવના છે.
