ગાંધીનગર: રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર ખાતે મળેલી કેબિનેટ બેઠકમાં વિકાસલક્ષી કામોની ગુણવત્તા મુદ્દે અત્યંત કડક વલણ અખત્યાર કર્યું છે. મુખ્યમંત્રીએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે, રાજ્યમાં થતા કોઈ પણ બાંધકામ કે માર્ગ નિર્માણના કામોમાં ગુણવત્તા સાથે કોઈપણ પ્રકારની બાંધછોડ ચલાવી લેવામાં આવશે નહીં. તેમણે સંબંધિત વિભાગોના વડાઓને તાકીદ કરી છે કે જનતાના પૈસાનો સદુપયોગ થાય અને ટકાઉ કામગીરી થાય તે સુનિશ્ચિત કરવામાં આવે.
મહેમદાબાદ-મહુધા માર્ગ મામલે તપાસનો કોરડો
કેબિનેટ બેઠકની વિગતો આપતા પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું કે, માત્ર એક વર્ષ પહેલાં ₹200 કરોડના જંગી ખર્ચે તૈયાર થયેલો મહેમદાબાદથી મહુધા માર્ગ બિસ્માર થયો હોવાની ફરિયાદો મુખ્યમંત્રી સુધી પહોંચી હતી. આ બાબતને ગંભીરતાથી લેતા મુખ્યમંત્રીએ માર્ગ અને મકાન વિભાગના સચિવને આ રોડ તાત્કાલિક દુરસ્ત કરવા અને આ નબળી કામગીરી માટે જવાબદાર કોન્ટ્રાક્ટરો કે અધિકારીઓ સામે કડક તપાસ સોંપી પગલાં ભરવા આદેશ આપ્યા છે.
ટેકાના ભાવે ખરીદી અને ખેડૂત હિતના નિર્ણયો
મંત્રી જીતુ વાઘાણીએ વધુમાં ઉમેર્યું કે, રાજ્ય સરકાર ખેડૂતોના હિત માટે કટિબદ્ધ છે. અત્યાર સુધીમાં અંદાજે ₹12,000 કરોડ થી વધુના ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી છે. આ પ્રક્રિયા માટે રાજ્યભરમાંથી 10.11 લાખ થી વધુ ખેડૂતોએ નોંધણી કરાવી છે, જે સરકારની પારદર્શક ખરીદ પ્રક્રિયાની સફળતા દર્શાવે છે. મુખ્યમંત્રીએ તમામ મંત્રીઓ અને અધિકારીઓને સૂચના આપી છે કે ક્યાંય પણ કામમાં ક્ષતિ જણાય તો રાહ જોયા વગર જનતાના હિતમાં તાત્કાલિક સુધારા કરવા અને જો ગંભીર બેદરકારી માલૂમ પડે તો કસૂરવાર સામે કાયદાકીય કડક કાર્યવાહી કરવી.
