અમદાવાદ: અમદાવાદ શહેરના વ્યસ્ત ગણાતા સીટીએમ ચાર રસ્તાની બિસ્માર હાલતને લઈને રાજકારણ ગરમાયું છે. આમ આદમી પાર્ટીની વિદ્યાર્થી પાંખ CYSS ના શહેર પ્રમુખ યાત્રિક પટેલે આજે આ મામલે ભારતીય જનતા પાર્ટી પર આકરા પ્રહાર કર્યા છે. તેમણે સીટીએમ રોડ પર પડેલા મોટા ભુવા અને ખાડાઓનો ઉલ્લેખ કરતા વ્યંગાત્મક રીતે જણાવ્યું હતું કે, “જો કોઈને સીધા પાતાળલોક જવું હોય તો સીટીએમ ચાર રસ્તા પર આવી જાય, કારણ કે ભાજપની ટેકનોલોજીએ હવે પાતાળમાં ઉતરવાના રસ્તા બનાવી દીધા છે.”
બુલડોઝર માત્ર ગરીબો માટે જ?
યાત્રિક પટેલે સરકારની ‘બુલડોઝર નીતિ’ પર સવાલ ઉઠાવતા કહ્યું હતું કે, જ્યારે કોઈ ગરીબ માણસની વાત હોય ત્યારે ‘દાદાનું બુલડોઝર’ મિનિટોમાં તેના ઘર સુધી પહોંચી જાય છે, પરંતુ જે ભ્રષ્ટ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની બેદરકારીને કારણે કરોડોના ખર્ચે બનેલા રસ્તાઓ તૂટી રહ્યા છે, તેમના ઘરે આ બુલડોઝર કેમ નથી પહોંચતું? શું કાયદો અને કાર્યવાહી માત્ર સામાન્ય જનતા માટે જ છે?
નાગરિકોના જીવ જોખમમાં
સીટીએમ ચાર રસ્તા એ શહેરનો પ્રવેશદ્વાર ગણાય છે, જ્યાંથી હજારો વાહનોની અવરજવર રહે છે. રસ્તાઓની અત્યંત ખરાબ હાલતને કારણે અકસ્માતોનું જોખમ વધી ગયું છે. યાત્રિક પટેલે આક્ષેપ કર્યો હતો કે સરકાર માત્ર વિકાસના ખોટા દાવા કરી રહી છે, જ્યારે વાસ્તવિકતામાં નાગરિકો જીવના જોખમે મુસાફરી કરવા મજબૂર છે. તેમણે સરકાર પાસે માંગ કરી છે કે સીટીએમ ચાર રસ્તાની દુરસ્તી માટે તાત્કાલિક પગલાં લેવામાં આવે અને જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે.
