ગાંધીનગર: ગુજરાત વિધાનસભા ખાતે આજે રાજ્યનું વર્ષ 2026-27નું અંદાજપત્ર રજૂ થવા જઈ રહ્યું છે. નાણા મંત્રી કનુ દેસાઈ સતત પાંચમી વખત ગુજરાતનું બજેટ રજૂ કરવા માટે વિધાનસભા ભવન પહોંચ્યા છે. આ વર્ષે પણ સરકારની પરંપરા મુજબ, બજેટ રજૂ કરવા માટે ઉપયોગમાં લેવાતી ‘બજેટ પોથી’ આકર્ષણનું કેન્દ્ર બની છે. ગુજરાત સરકારે આ વખતે આદિવાસીઓની આસ્થાના પ્રતીક એવા ‘કંસરી દેવી’ ના ચિત્ર સાથેની ‘વારલી ચિત્રકલા’ વાળી પોથી પસંદ કરી છે.
વારલી ચિત્રકલા: 1200 વર્ષ જૂની વિરાસત
છેલ્લા ચાર વર્ષથી ગુજરાત સરકાર બજેટ પોથી પર વારલી ચિત્રકલાને સ્થાન આપીને આ પ્રાચીન કળાને જીવંત રાખવાનો પ્રયાસ કરી રહી છે. અંદાજે 1200 વર્ષ જૂની આ ચિત્રકલા આદિવાસી સમુદાયના જીવન, પ્રકૃતિ અને સંસ્કૃતિને પ્રતિબિંબિત કરે છે. બજેટ જેવી મહત્વની દસ્તાવેજી પોથી પર આ કળાને સ્થાન આપીને સરકારે આદિવાસી કલાકારોને પ્રોત્સાહન આપવાનું ઉમદા કાર્ય કર્યું છે.
કોણ છે કંસરી દેવી?
બજેટ પોથી પર આ વર્ષે જેમના ચિત્રને અંકિત કરવામાં આવ્યું છે તે ‘કંસરી દેવી’ આદિવાસી સમાજમાં અન્ય દેવી તરીકે પૂજાય છે. આદિવાસી પરંપરા મુજબ જ્યારે ઘરમાં લગ્ન હોય, ખેતરમાંથી નવું ધાન (અનાજ) ઘરે આવે કે કોઈ પણ શુભ પ્રસંગ હોય ત્યારે કંસરી દેવીની સ્થાપના અને પૂજા કરવામાં આવે છે. બજેટ એ રાજ્યની આર્થિક સમૃદ્ધિનું દ્વાર છે, ત્યારે ધાન્યની દેવી કંસરી દેવીના આશીર્વાદ સાથે બજેટ રજૂ કરવું એ રાજ્યની પ્રગતિ અને સુખાકારીનો સંકેત આપે છે.
બજેટ પાસેથી આશા અને અપેક્ષાઓ
વર્ષ 2026-27નું આ બજેટ ‘વિકસિત ગુજરાત’ થી ‘વિકસિત ભારત’ ના વિઝનને સાકાર કરવા પર કેન્દ્રિત હોવાનું મનાય છે. નાણા મંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા રજૂ થનારા આ બજેટમાં શિક્ષણ, આરોગ્ય, આદિવાસી વિકાસ અને નવી ટેકનોલોજી માટે મોટી જોગવાઈઓ કરવામાં આવે તેવી શક્યતા છે.
