મધ્ય ગુજરાત: ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આજે દાહોદના છાપરી, પંચમહાલના ઘોઘંબા અને છોટાઉદેપુરના બોડેલી ખાતે વિરાટ જાહેરસભાઓને સંબોધિત કરી હતી. ભગવાન બિરસામુંડાના જયઘોષ સાથે તેમણે આદિવાસી સમાજના સ્વતંત્રતા સંગ્રામમાં અતુલનીય યોગદાનને યાદ કર્યું હતું. તેમણે જણાવ્યું કે, ૧૮૫૭ના સંગ્રામમાં અંગ્રેજોને હંફાવનાર આ વીર સમાજના સપનાઓને સાકાર કરવાનું કામ માત્ર ભાજપ સરકારે કર્યું છે.
કોંગ્રેસના ‘ઢોંગ’ પર આકરા પ્રહાર
હર્ષ સંઘવીએ કોંગ્રેસની નીતિઓની આકરી ટીકા કરતા કહ્યું કે, આઝાદી પછી દાયકાઓ સુધી શાસન કરનારી કોંગ્રેસે આદિવાસીઓને માત્ર વોટબેંક તરીકે વાપર્યા છે. “જે કોંગ્રેસે આદિવાસીઓનો ભવ્ય ઇતિહાસ ભૂલાવવાનો પ્રયાસ કર્યો, તે આજે મસીહા બનવાનો ઢોંગ કરી રહી છે,” તેમ તેમણે ઉમેર્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું કે જનતાના આક્રોશને કારણે આજે કોંગ્રેસને ઉમેદવારો પણ મળતા નથી અને અનેક બેઠકો બિનહરીફ થઈ રહી છે.

દાહોદ અને આદિવાસી વિસ્તારોનું બદલાયેલું ચિત્ર
વિકાસના આંકડા રજૂ કરતા નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઝૂંપડામાં રહેતા પરિવારોને પાકા ઘર, ગેસ કનેક્શન, વીજળી અને શૌચાલય જેવી પ્રાથમિક સુવિધાઓ આપી છે. એક સમયે માત્ર શ્રમિક તરીકે ઓળખાતા દાહોદના યુવાનો આજે મેડિકલ કોલેજો અને નવી શાળાઓને કારણે ડોક્ટર-એન્જિનિયર બની રહ્યા છે. દાહોદ જિલ્લામાં ૧૧ લાખથી વધુ આયુષ્માન કાર્ડ ધારકો મફત સારવાર મેળવી રહ્યા છે.
ગુંડા તત્વો અને અરાજકતા સામે લાલ આંખ
હર્ષ સંઘવીએ મતદારોને હાકલ કરી હતી કે ટપોરી અને ગુંડા તત્વોને પ્રોત્સાહન આપી ગુજરાતમાં અશાંતિ ફેલાવતા વિરોધ પક્ષોનો સફાયો કરવો જરૂરી છે. તેમણે ૨૬ એપ્રિલે યોજાનાર મતદાનમાં દરેક બેઠક પર કમળ ખીલવવા અને ભાજપને જંગી બહુમતીથી વિજયી બનાવવા આહ્વાન કર્યું હતું.
આ સભાઓમાં ગણપતભાઇ વસાવા, જયદ્રથસિંહ પરમાર અને હિતેન્દ્રસિંહ ચૌહાણ સહિતના દિગ્ગજ નેતાઓ અને વિશાળ સંખ્યામાં સમર્થકો ઉપસ્થિત રહ્યા હતા.
