કચ્છ: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના પ્રચાર માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કચ્છ જિલ્લાના અબડાસા અને ગાંધીધામમાં તોતીંગ જનસભા ગજવી હતી. ‘વિકાસ સંકલ્પ સભા’ને સંબોધિત કરતા મુખ્યમંત્રીએ કચ્છના ખમીર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં થયેલા પરિવર્તનને બિરદાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, ૨૦૦૧ના વિનાશક ભૂકંપ બાદ જે કચ્છને બેઠું કરવું અશક્ય લાગતું હતું, તે આજે PM મોદીના વિઝન અને કચ્છી માડુઓના પરિશ્રમથી વિશ્વભરમાં ધમધમતું થયું છે.
સફેદ રણથી નર્મદાના નીર સુધીની ગાથા
મુખ્યમંત્રીએ કચ્છની પ્રગતિના મુખ્ય મુદ્દાઓ પર ભાર મૂક્યો હતો:
ગ્લોબલ ટુરિઝમ: સફેદ રણ અને ધોરોડોનું ગ્લોબલ ટુરિઝમ મેપ પર ચમકવું એ PM મોદીના દૃષ્ટિવંત નેતૃત્વનું પરિણામ છે. અહીં G-20 જેવી આંતરરાષ્ટ્રીય ઈવેન્ટ્સનું આયોજન ગૌરવની વાત છે.
નર્મદાના નીર: જે કચ્છ પાણી માટે વલખાં મારતું હતું, ત્યાં આજે વડાપ્રધાનની કાર્યશૈલીને લીધે ઘરે-ઘરે નર્મદાના નીર પહોંચ્યા છે.
MSME અને ઉદ્યોગ: ૨૦૦૧માં જે MSME ની સંખ્યા માત્ર ૧.૮૩ લાખ હતી, તે વાઇબ્રન્ટ ગુજરાતના ફળસ્વરૂપે આજે ૨૭ લાખને પાર થઈ ગઈ છે.
જનકલ્યાણકારી યોજનાઓનો ઉલ્લેખ
શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે સરકારની કટિબદ્ધતા દર્શાવતા મુખ્યમંત્રીએ ‘નમો લક્ષ્મી’ અને ‘નમો સરસ્વતી’ જેવી શિષ્યવૃત્તિ યોજનાઓ વિશે વિગતો આપી હતી. વધુમાં, તેમણે આયુષ્માન કાર્ડ યોજનાને વિશ્વની સૌથી શ્રેષ્ઠ આરોગ્ય યોજના ગણાવી ગરીબ અને મધ્યમ વર્ગને મળતી મફત સારવારનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે સ્પષ્ટ કર્યું કે કોવિડ જેવી મહામારીમાં પણ ગુજરાતનો વિકાસ અટક્યો નથી અને ક્યારેય અટકશે નહીં.
વિરોધ પક્ષો પર પ્રહાર અને મતદારોને આહ્વાન
વિપક્ષ પર નિશાન સાધતા મુખ્યમંત્રીએ કહ્યું કે માત્ર બૂમો પાડવાથી કશું થતું નથી, વિકાસ માટે આયોજનબદ્ધ કાર્ય કરવું પડે છે જે ભાજપે કરી બતાવ્યું છે. તેમણે ૨૬ એપ્રિલે યોજાનાર મતદાનમાં ભાજપના ઉમેદવારોને જંગી મતોથી વિજયી બનાવવા અપીલ કરી હતી. તેમણે ઉમેર્યું કે, “ભાજપાને આપેલો પ્રત્યેક વોટ વિકસિત ભારતના સંકલ્પને મજબૂત બનાવશે.”
આ સભામાં મંત્રી કાંતિ અમૃતિયા, જિલ્લા પ્રમુખ દેવજીભાઇ વરચંદ અને અન્ય ધારાસભ્યો સહિત મોટી સંખ્યામાં સમર્થકો હાજર રહ્યા હતા.
