જ્યારે સમગ્ર ગુજરાત અને ભારત નવરાત્રીના ઉત્સવમાં લીન છે, ત્યારે પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતમાં આવેલું પૌરાણિક અને પવિત્ર હિંગળાજ માતા મંદિર પણ આદ્યશક્તિની ભક્તિના રંગે રંગાયું છે. નવરાત્રીના પાંચમા નોરતે આ પવિત્ર શક્તિપીઠ પર બેઠા ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.
હિંગળાજ માતા મંદિર હિન્દુઓ માટે ૫૧ શક્તિપીઠો પૈકીનું એક અત્યંત મહત્વપૂર્ણ તીર્થસ્થળ છે, જેને સ્થાનિક મુસ્લિમ સમુદાય પણ ‘નાની મંદિર’ તરીકે પૂજે છે. આ મંદિર મકરાન દરિયાકિનારે હિંગોલ નેશનલ પાર્કની અંદર એક ગુફામાં આવેલું છે, જે પહાડી અને દુર્ગમ વિસ્તારમાં આવેલું છે. દર વર્ષે અહીં હજારોની સંખ્યામાં હિન્દુ શ્રદ્ધાળુઓ, ખાસ કરીને સિંધ અને બલૂચિસ્તાનના લોકો, દર્શન અને યાત્રા માટે આવે છે.
5th Day of #NavratriInBalochistan; Videos strait from #HinglajMataMandir Republic of Balochistan. pic.twitter.com/4JVXQtNcca— Mir Yar Baloch (@miryar_baloch) September 26, 2025
આ વર્ષે નવરાત્રીના પાંચમા દિવસે, હિંગળાજ માતાના મંદિરમાં પરંપરાગત ભક્તિભાવ સાથે ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. વીડિયોમાં ભક્તો ‘તું કાળીને કલ્યાણી રે માં, જ્યાં જુઓ ત્યાં જોગમાયા..’ જેવા જાણીતા ગરબાના સૂરો પર બેઠા રાસ લેતા જોવા મળી રહ્યા છે. આ દ્રશ્ય માત્ર ભારતીય સંસ્કૃતિના જ નહીં, પરંતુ ભક્તિ અને શ્રદ્ધાના વૈશ્વિક સ્વરૂપનું પ્રતીક છે.
આ ભવ્ય આયોજન દર્શાવે છે કે ધાર્મિક આસ્થાની જ્યોત ગમે તેટલી ભૌગોલિક કે રાજકીય સીમાઓ હોય, ત્યાં અખંડ રહે છે. બલૂચિસ્તાનના આ પર્વતીય વિસ્તારમાં હિન્દુ સમુદાય દ્વારા ઉજવાતી નવરાત્રીનો આ ઉત્સાહ, તેમની અડગ શ્રદ્ધા અને સાંસ્કૃતિક ઓળખને જીવંત રાખવાના પ્રયાસોને ઉજાગર કરે છે. આ દ્રશ્યો બલૂચિસ્તાનના હિન્દુ સમુદાય અને વિશ્વભરના માઈભક્તો માટે એક પ્રેરણારૂપ સંદેશ છે.
