ગાંધીનગર, ૦૩ સપ્ટેમ્બર: રાજ્યમાં કુદરતી કે માનવસર્જિત આપત્તિ વ્યવસ્થાપન, તબીબી કટોકટી, રાહત-બચાવ કામગીરી અને વડાપ્રધાન તથા મુખ્યમંત્રી જેવા મહાનુભાવોની વીઆઈપી મૂવમેન્ટ વખતે હેલીપૅડની ભૂમિકા અત્યંત નિર્ણાયક સાબિત થાય છે. આવી કટોકટીની ક્ષણોમાં સમયનો વ્યય ન થાય અને તાત્કાલિક ધોરણે એર-લિફ્ટિંગ કે લેન્ડિંગ શક્ય બને તે માટે ગુજરાત સરકારે એક મોટો અને સકારાત્મક નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સીધા માર્ગદર્શન હેઠળ માર્ગ અને મકાન વિભાગ દ્વારા રાજ્યના તમામ હયાત હેલીપૅડને વર્ષના ૩૬૫ દિવસ ‘ઓપરેશનલ કન્ડીશન’ (તત્કાલ ઉપયોગ યોગ્ય) રાખવા માટે કડક સૂચનાઓ જાહેર કરવામાં આવી છે.
દર ત્રણ મહિને ફરજિયાત ગ્રાઉન્ડ ઈન્સ્પેક્શન
સરકારના નવા દિશા-નિર્દેશો મુજબ, હવે રાજ્યના દરેક નાના-મોટા હેલીપૅડની ગુણવત્તા અને સલામતી જાળવવા માટે માળખાકીય સમીક્ષા કરવામાં આવશે. જેમાં અધીક્ષક ઈજનેર (Superintending Engineer) દ્વારા દર ત્રણ માસે ઓછામાં ઓછું એકવાર દરેક હેલીપૅડનું સ્થળ નિરીક્ષણ (Site Inspection) કરવું ફરજિયાત બનાવવામાં આવ્યું છે. આ ઉપરાંત સ્થળ તપાસ દરમિયાન જો પેવમેન્ટ, પેઇન્ટિંગ કે ડ્રેનેજમાં કોઈ ખામી જણાશે તો તેને વિલંબ વગર તુરંત રિપેર કરવાની રહેશે. અને તમામ હેલીપૅડ ૨૪ કલાક વાપરવા યોગ્ય રહે તે સુનિશ્ચિત કરવાની પ્રાથમિક જવાબદારી સંબંધિત કાર્યપાલક ઈજનેર (Executive Engineer) ની રહેશે.
હેલીપૅડની આસપાસના અનધિકૃત દબાણો પર ચાલશે બુલડોઝર
ઘણીવાર હેલીપૅડ અથવા તેના એપ્રોચ રોડ પર દબાણ કે કચરાના કારણે લેન્ડિંગમાં અવરોધ ઊભો થતો હોય છે. સરકારે આ બાબતે અત્યંત કડક વલણ અપનાવ્યું છે.
| ચકાસણીના મુખ્ય મુદ્દાઓ | સરકારી કાર્યવાહી અને નિર્દેશો |
| ભૌતિક સુવિધાઓ | સપાટી, પેવમેન્ટ, પેઇન્ટેડ માર્કિંગ અને ડ્રેનેજ સિસ્ટમની નિયમિત જાળવણી. |
| દબાણો દૂર કરવા | આસપાસ થતા અનધિકૃત બાંધકામ, સામગ્રીના સંગ્રહ કે વાહનોના પાર્કિંગ પર તાત્કાલિક પ્રતિબંધ. |
| સફાઈ અને ક્લિયરન્સ | ઝાડી-ઝાંખરા, કચરો અને જપ્ત કરાયેલા બિન-વપરાશી વાહનોને હેલીપૅડ વિસ્તારમાંથી તુરંત હટાવવાના રહેશે. |
મુખ્યમંત્રીના આ નિર્ણયથી આપત્તિના સમયે ‘ગોલ્ડન અવર’માં લોકોને મેડિકલ સહાય કે રાહત પહોંચાડવી વધુ સરળ અને ઝડપી બનશે.
