વડોદરા: નવરાત્રીના પાવન પર્વનો ઉત્સાહ ચરમસીમાએ છે, ત્યારે આજે સાતમા નોરતે વડોદરાના વાતાવરણમાં આવેલા અચાનક પલટાએ ખેલૈયાઓ અને ગરબા આયોજકોની ચિંતામાં વધારો કર્યો છે. આજે વહેલી સવારથી જ શહેરના કેટલાક વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ શરૂ થતાં સાંજે યોજાનારા ગરબા કાર્યક્રમો પર મોટો પ્રશ્નાર્થચિહ્ન લાગી ગયો છે.
આજે વડોદરા શહેરમાં સવારથી જ આકાશમાં વાદળો ઘેરાયા હતા અને થોડા સમય બાદ ધીમી ધારે વરસાદ શરૂ થઈ ગયો હતો. જોકે વરસાદી ઝાપટાં હળવા હતા, પરંતુ નવરાત્રીના ઉત્સવ પર તેની માઠી અસર પડવાની દહેશત છે. નવરાત્રીના મધ્યમાં જ્યારે ગરબાની રમઝટ પૂરજોશમાં જામી હોય છે, ત્યારે આ અણધાર્યા વરસાદે આયોજકોને મુશ્કેલીમાં મૂકી દીધા છે.
અનુભવી ગરબા આયોજકો ચિંતામાં છે કે જો સવારનો વરસાદ સાંજે પણ ચાલુ રહેશે અથવા તો ગ્રાઉન્ડમાં પાણી ભરાઈ જશે કે કાદવ-કિચડ થઈ જશે તો ગરબાનું આયોજન કેવી રીતે કરવું? ખેલૈયાઓ પણ મુંઝવણમાં છે, કારણ કે સતત પડતા વરસાદને કારણે નવરાત્રીના રંગમાં ભંગ પડવાની શક્યતા છે.
ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગ દ્વારા પણ આગામી ચાર દિવસ સુધી વડોદરા સહિત રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદની આગાહી કરવામાં આવી હતી. આ આગાહી સાચી પડતાં આયોજકોએ ગ્રાઉન્ડને સુરક્ષિત રાખવા માટે તાત્કાલિક પગલાં લેવાનું શરૂ કર્યું છે. જોકે, મોટા પાયે આયોજિત ગરબામાં, ખાસ કરીને ખુલ્લા મેદાનોમાં, પાણીના નિકાલની વ્યવસ્થા કરવી એક મોટો પડકાર છે.
વડોદરા શહેર તેની ભવ્ય અને પરંપરાગત નવરાત્રી માટે જાણીતું છે, ત્યારે આ સતત વરસાદ ઉત્સવના રંગને ઝાંખો ન પાડે તેવી આશા માઈભક્તો અને ખેલૈયાઓ સેવી રહ્યા છે.
