ઉત્તરપ્રદેશના રાજ્યપાલ અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલે તાજેતરમાં હરિદ્વાર ખાતે આયોજિત એક કાર્યક્રમમાં દીકરીઓના ઉછેર અને સુરક્ષા બાબતે આપેલા નિવેદનથી ચર્ચા જાગી છે. પાટણ લેઉવા પાટીદાર સમાજ દ્વારા આયોજિત ભાગવત કથામાં ઉપસ્થિત રહીને તેમણે સમાજની બદલાતી સ્થિતિ, વધતા વૃદ્ધાશ્રમ, સર્વાઈકલ કેન્સર અને ખાસ કરીને સગીર વયની દીકરીઓના ભવિષ્ય અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી.
POCSO એક્ટના કિસ્સાઓથી રાજ્યપાલ ચિંતિત
આનંદીબેન પટેલે યુપીના હાઈકોર્ટના જજ સાથે થયેલી મુલાકાતનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે, POCSO એક્ટ હેઠળ નોંધાતા ગુનાઓની સંખ્યા ચિંતાજનક રીતે વધી રહી છે. તેમણે કહ્યું, “૧૮ વર્ષથી ઓછી ઉંમરના દીકરા-દીકરીઓ ભાગીને લગ્ન કરી લે છે. આવા કિસ્સાઓમાં જ્યારે તેઓ પકડાય ત્યારે તેમને અલગ રાખવામાં આવે છે. મેં એવા સેન્ટરોની મુલાકાત લીધી છે જ્યાં ૨૦૦-૨૦૦ જેટલી સગીરાઓ છે, જેમાંથી ઘણી ગર્ભવતી છે અથવા તો તેમને નાની ઉંમરે બાળક પણ થઈ ગયું છે.”
વાલીઓને સતર્ક રહેવા આપી સલાહ
માતાપિતાને સંબોધતા તેમણે એક ચોક્કસ ઉદાહરણ આપ્યું જે અત્યારે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે. તેમણે કહ્યું, “તમારી દીકરી ૮-૧૦ વર્ષની હોય અને કોઈનો ફોન આવે ત્યારે તે તમારી બાજુમાં બેસીને વાત કરે છે. પરંતુ જે દિવસે ફોન આવે અને તે બાજુના રૂમમાં જઈને વાત કરવા લાગે, ત્યારે તેની ઉપર શંકા કરજો. હું શંકા કરવાની વાત નથી કરતી પણ નજર રાખવાની વાત કરું છું. દીકરી મિત્રો બનાવે તેમાં વાંધો નથી, પણ તે ઘર કે શાળામાંથી ભાગી ન જાય તેની તકેદારી રાખવી એ વાલીઓની ફરજ છે.”
ભૂલ સુધારવાની તક
સેન્ટરોમાં રહેલી દીકરીઓ સાથેના સંવાદને યાદ કરતા તેમણે કહ્યું કે, “મેં તે દીકરીઓને સમજાવી કે એક ભૂલ થઈ ગઈ તેને લઈને આખી જિંદગી વિતાવવાની જરૂર નથી. ૧૩-૧૫ વર્ષની ઉંમરે આખું જીવન બાકી છે.” આનંદીબેને ભાર મૂક્યો કે બદલાતા સંસ્કારો અને સોશિયલ મીડિયાના સમયમાં વાલીઓએ સંતાનો પર સતત નજર રાખવી જોઈએ જેથી તેમનું ભવિષ્ય ન બગડે.
આ નિવેદન બાદ સોશિયલ મીડિયા પર મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે. કેટલાક લોકો તેને વાલીઓ માટે જરૂરી ચેતવણી ગણાવી રહ્યા છે, તો કેટલાક તેને વ્યક્તિગત સ્વતંત્રતા પર શંકા તરીકે જોઈ રહ્યા છે. જોકે, આનંદીબેનનો મુખ્ય હેતુ સગીર વયે થતી ભૂલો અને તેનાથી બગડતા જીવન તરફ સમાજનું ધ્યાન દોરવાનો હતો.
