પોરબંદર: સંસ્કૃતિ અને વિરાસતની ઉજવણી સમાન માધવપુર ઘેડના સુપ્રસિદ્ધ મેળાનો આજથી એટલે કે ૨૭ માર્ચ ૨૦૨૬થી ભવ્ય પ્રારંભ થઈ રહ્યો છે. ભગવાન શ્રીકૃષ્ણ અને રુક્મિણીજીના પાવન વિવાહ પ્રસંગની સ્મૃતિમાં યોજાતો આ પાંચ દિવસીય મેળો ચૈત્ર સુદ નોમ (રામનવમી) થી શરૂ થઈને પાંચ દિવસ સુધી ચાલશે. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દિશાદર્શનમાં આ મેળાએ ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ની ભાવના સાથે રાષ્ટ્રીય સ્તરે વિશેષ ઓળખ પ્રાપ્ત કરી છે.
ઉત્તર-પૂર્વ અને પશ્ચિમ ભારતનું સાંસ્કૃતિક મિલન
માધવપુરનો આ મેળો માત્ર ગુજરાતનો જ નહીં, પરંતુ પશ્ચિમ ભારત અને ઉત્તર-પૂર્વ (North-East) ભારતના સાંસ્કૃતિક મિલનનું પ્રતીક છે. અરુણાચલ પ્રદેશની રાજકુમારી રુક્મિણીજી અને દ્વારકાધીશ શ્રીકૃષ્ણના વિવાહની આ પરંપરામાં આ વર્ષે પણ ઉત્તર-પૂર્વ ભારત અને ગુજરાતના આશરે ૬૦૦ જેટલા કલાકારો પોતાની કલાની પ્રસ્તુતિ કરશે. આ ઉપરાંત, બંને પ્રદેશોના હસ્તકલાના કારીગરોનું પ્રદર્શન પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનશે.
બીચ સ્પોર્ટ્સ ફેસ્ટિવલનું વિશેષ આયોજન
માધવપુરના રમણીય દરિયાકિનારે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત (SAG) અને જિલ્લા વહીવટી તંત્રના સહયોગથી ૨૭ થી ૩૦ માર્ચ દરમિયાન ભવ્ય ‘બીચ સ્પોર્ટ્સ ફેસ્ટિવલ’ યોજાશે.
- ખેલાડીઓની સંખ્યા: રાજ્યભરમાંથી ૬૫૦થી વધુ ખેલાડીઓ આ ફેસ્ટિવલમાં જોડાશે.
- રમત-ગમત: બીચ ફૂટબોલ, બીચ કબડ્ડી, ૧૦૦ મીટર દોડ અને પરંપરાગત અખાડા કુસ્તી જેવી રોમાંચક સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે.

લોક ડાયરો અને ભજન કીર્તનની રમઝટ
મેળાના પાંચેય દિવસ દરમિયાન રાત્રિના સમયે ભવ્ય લોક ડાયરો અને ભજન કીર્તનનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાતના પ્રખ્યાત કલાકારો શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓને પોતાની સુરાવલીઓથી મંત્રમુગ્ધ કરશે. મેળામાં આવતા મુલાકાતીઓ માટે ભાતીગળ સંસ્કૃતિ, પરંપરાગત વેશભૂષા અને સ્થાનિક વાનગીઓનો લ્હાવો લેવાની સુવર્ણ તક છે.
જય માધવરાયજીના નાદ સાથે આખું માધવપુર ભક્તિ અને આનંદના રંગે રંગાઈ ગયું છે. વહીવટી તંત્ર દ્વારા પ્રવાસીઓની સુવિધા માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે.
