નવી દિલ્હી: વૈશ્વિક સ્તરે ચાલી રહેલી અનિશ્ચિતતા અને સપ્લાય ચેઈનમાં વિક્ષેપને પગલે છેલ્લા કેટલાક દિવસોથી સોશિયલ મીડિયા પર ભારતમાં ફરીથી લોકડાઉન લાગુ થવાની અફવાઓ વહેતી થઈ છે. આ અફવાઓને કારણે નાગરિકોમાં ગભરાટનો માહોલ જોવા મળી રહ્યો હતો. જોકે, ભારત સરકારના પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપ સિંહ પુરીએ આજે આ તમામ અટકળો પર પૂર્ણવિરામ મૂકતા સ્પષ્ટતા કરી છે કે ભારતમાં લોકડાઉન લાગુ કરવાની કોઈ વિચારણા નથી.
સરકારની સ્થિતિ પર ચાંપતી નજર
પૂર્વ રાજદ્વારી અને કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરીએ સત્તાવાર નિવેદન જારી કરતા જણાવ્યું હતું કે, “વૈશ્વિક પરિસ્થિતિ હજુ પણ અનિશ્ચિત છે, પરંતુ ભારત સરકાર ઉર્જા, સપ્લાય ચેઈન અને આવશ્યક ચીજવસ્તુઓ સાથે જોડાયેલા હાલાત પર રિયલ ટાઈમમાં સતત નજર રાખી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશમાં ઈંધણ, ઉર્જા અને અન્ય જરૂરી વસ્તુઓનો પુરવઠો કોઈપણ અવરોધ વગર ચાલુ રહે તે સુનિશ્ચિત કરવામાં આવી રહ્યું છે.”

લોકડાઉનની વાતો તદ્દન ખોટી
મંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, “દેશમાં લોકડાઉનને લઈને ફેલાઈ રહેલી અફવાઓ તદ્દન ખોટી છે. હું સ્પષ્ટ કરવા માંગુ છું કે સરકારના સ્તરે આવો કોઈ પ્રસ્તાવ વિચારણા હેઠળ નથી. ભારત અગાઉ પણ વૈશ્વિક પડકારો સામે પોતાની મજબૂતી સાબિત કરી ચૂક્યું છે અને ભવિષ્યમાં પણ અમે સક્રિય રીતે કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે સંપૂર્ણ તૈયાર છીએ.”
નાગરિકોને શાંત રહેવા અપીલ
હરદીપ સિંહ પુરીએ નાગરિકોને જવાબદાર બનવા અને અફવાઓ ન ફેલાવવા અપીલ કરી છે. તેમણે કહ્યું કે આવી સંવેદનશીલ પરિસ્થિતિમાં ગેરમાર્ગે દોરનારા મેસેજ ફેલાવવા તે બિનજવાબદાર અને નુકસાનકારક છે. લોકોએ શાંત રહેવું, એકજુઠ રહેવું અને માત્ર સત્તાવાર સ્ત્રોત પર જ વિશ્વાસ કરવો જોઈએ. દેશમાં જીવનજરૂરી ચીજવસ્તુઓની કોઈ અછત નથી, તેથી પાનિક બુકિંગ કે સંગ્રહખોરી કરવાની જરૂર નથી.
