ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હંમેશા પ્રજાલક્ષી અને સંવેદનશીલ નિર્ણયો માટે જાણીતા છે. તાજેતરમાં જ જામનગરમાં બનેલી એક ઘટનાએ ફરી એકવાર તેમની આ સંવેદનશીલતાને ઉજાગર કરી છે. મુખ્યમંત્રીએ એક સામાન્ય પરિવારની દીકરીના લગ્ન નિર્વિઘ્ને સંપન્ન થાય તે માટે પોતાના પૂર્વ નિર્ધારિત સરકારી કાર્યક્રમનું સ્થળ તાત્કાલિક બદલવાનો આદેશ આપ્યો હતો.
વાત જાણે એમ છે કે તારીખ 23-11-2025 ના રોજ જામનગરના પરમાર પરિવારની દીકરી સંજના પરમારના લગ્ન શહેરના પ્રતિષ્ઠિત ટાઉનહોલ ખાતે પહેલેથી જ નક્કી હતા. પરિવારમાં ઉત્સાહનો માહોલ હતો અને લગ્નવિધિની તમામ તૈયારીઓ લગભગ પૂર્ણ થવાને આરે હતી.
ત્યાં જ પરિવારને જાણ થઈ કે, લગ્નના માત્ર એક દિવસ પછી, એટલે કે તા. 24-11-2025 ના રોજ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો જામનગર ખાતે ટાઉનહોલ પર જ એક મોટો જાહેર કાર્યક્રમ યોજાવાનો છે. મુખ્યમંત્રીનો કાર્યક્રમ હોવાથી સ્વાભાવિક રીતે જ ટાઉનહોલ અને તેની આસપાસના વિસ્તારમાં એક દિવસ અગાઉથી જ પોલીસ બંદોબસ્ત, કડક સુરક્ષા વ્યવસ્થાઓ અને પ્રોટોકોલ ગોઠવાઈ જવાનો હતો.
પરમાર પરિવારની ચિંતા વધી ગઈ. મુખ્યમંત્રીની સુરક્ષા વ્યવસ્થાના પગલે લગ્નના દિવસે અવરજવર, વાહનોની પાર્કિંગ અને મહેમાનોની હાજરીમાં મોટા અવરોધો ઊભા થવાની પૂરી શક્યતા હતી. લગ્ન ગાળાની સીઝનમાં તાત્કાલિક નવું સ્થળ શોધવું અને મહેમાનોને જાણ કરવી એ એક મોટો પડકાર હતો.
મુખ્યમંત્રીનો ત્વરિત નિર્ણય: “દીકરીના પરિવારની ચિંતા એ આપણી ચિંતા”
ચિંતિત પરિવારે ગમે તેમ કરીને આ મુદ્દે મુખ્યમંત્રી સુધી પોતાની વાત પહોંચાડવાનો પ્રયાસ કર્યો. આ વાત જ્યારે મુખ્યમંત્રી કાર્યાલય સુધી પહોંચી અને ખુદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના ધ્યાનમાં આવી, ત્યારે તેમણે એક પળનો પણ વિલંબ કર્યા વિના અધિકારીઓને સ્પષ્ટ આદેશ આપ્યો:
“આપણા કાર્યક્રમનું સ્થળ બદલો. દીકરીના પરિવારની ચિંતા એ આપણી ચિંતા છે.”
મુખ્યમંત્રીના આ માનવીય આદેશના પગલે, ટાઉનહોલ ખાતે નિર્ધારિત તેમનો જાહેર કાર્યક્રમનું સ્થળ તુરંત બદલી નાખવામાં આવ્યું. સૌથી નોંધનીય બાબત તો એ છે કે, પોતાના કાર્યક્રમનું સ્થળ બદલ્યાની જાણ ખુદ મુખ્યમંત્રીએ જ ફોન કરીને પરિવારને કરી હતી.
પરિવારના મોભીની લાગણી: “મુખ્યમંત્રી સાહેબનો એક ફોન આવ્યો અને અમે શાંતિથી સૂઈ શક્યા”
પરિવારના મોભી બ્રિજેશ પરમારે મુખ્યમંત્રીનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરતાં જણાવ્યું કે, “અમારા માટે તે રાત ચિંતામાં વીતી રહી હતી. જો લગ્ન ટાઉનહોલ પર ન થાય, તો તાત્કાલિક નવું સ્થળ શોધવું અને વ્યવસ્થા કરવી બધું જ ખૂબ અઘરું હતું. પરંતુ મુખ્યમંત્રી સાહેબનો એક ફોન આવ્યો અને તેમણે કહ્યું કે, ‘તમારા લગ્ન શાંતિથી યોજાય તે માટે અમે કાર્યક્રમનું સ્થળ બદલી દીધું છે.’ મુખ્યમંત્રી સાહેબના માત્ર એક ફોને અમને મોટી રાહત આપી અને અમે શાંતિથી એ રાત્રે સૂઈ શક્યા.”
આ ઘટના દર્શાવે છે કે, વહીવટી કાર્યભારની વચ્ચે પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સામાન્ય નાગરિકોની અંગત લાગણીઓ અને જરૂરિયાતો પ્રત્યે કેટલી સંવેદના ધરાવે છે. તેમના આ નિર્ણયથી માત્ર પરમાર પરિવાર જ નહીં, પરંતુ સમગ્ર રાજ્યના લોકોએ મુખ્યમંત્રીની સંવેદનશીલતાની પ્રશંસા કરી છે.
