સુરત શહેરમાં સાયબર છેતરપિંડીનો એક ગંભીર કિસ્સો સામે આવ્યો છે, જેમાં ગુનેગારોએ બેંકના પ્રતીકનો ઉપયોગ કરીને એક વ્યક્તિના ખાતામાંથી મોટી રકમ ઉપાડી લીધી હતી. આ છેતરપિંડીના કેસમાં લાંબી તપાસ બાદ ઇછ્છાપોર પોલીસને મોટી સફળતા મળી છે અને એક આરોપીની ધરપકડ બેંગ્લુરુ ખાતેથી કરવામાં આવી છે.
ફરિયાદ મુજબ, છેતરપિંડી કરનાર ટોળકીએ પંજાબ નેશનલ બેંક (PNB)ના સિમ્બોલવાળી પ્રોફાઇલનો ઉપયોગ કરીને સુરતના એક ફરિયાદીને “રિક્વાયર અરજન્ટ”નો મેસેજ મોકલ્યો હતો. ત્યારબાદ તેમને એક APK ફાઇલ ડાઉનલોડ કરવા માટે મજબૂર કર્યા હતા.
મોબાઇલ હેક કરી ટુકડે ટુકડે રકમ ઉપાડી
આ ટોળકીએ APK ફાઇલની અંદર રહેલા ફોર્મેટમાં ફરિયાદી પાસેથી જુદી જુદી વ્યક્તિગત અને બેંકિંગ વિગતો ભરાવી હતી. ફરિયાદીએ જેવું આ ફોર્મ સબમિટ કર્યું, કે તરત જ તેમનો મોબાઇલ ફોન હેક થઈ ગયો હતો. હેકિંગ બાદ, ફરિયાદીના મોબાઈલ પર એક બાદ એક બેંક ટ્રાન્ઝેક્શનના મેસેજ આવવા લાગ્યા હતા અને ટોળકીએ તેમના બેંક ખાતામાંથી ટુકડે ટુકડે કરીને કુલ ₹ ૪.૭૦ લાખ જેટલી રકમ ઓનલાઈન ટ્રાન્સફર કરાવી લીધી હતી. છેતરપિંડીનો ભોગ બનેલા ફરિયાદીએ વર્ષ ૨૦૨૪માં ઇચ્છાપોર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી હતી.
બેંગ્લુરુથી આરોપી બરુંનવાલ ગેઈના યાદવની ધરપકડ
આ ગંભીર છેતરપિંડીના કેસમાં ઇછ્છાપોર પોલીસે અગાઉ તપાસ શરૂ કરી હતી અને આ ટોળકીના એક સભ્ય ભોળાનાથ ત્રિવેદીની મુંબઈથી ધરપકડ કરી હતી. ભોળાનાથની પૂછપરછમાં વિવેક ત્રિવેદી અને બરુંનવાલ ગેઈના યાદવ નામના અન્ય બે આરોપીઓના નામ ખૂલ્યા હતા. પોલીસની ટીમોએ બિહાર અને ઉત્તરપ્રદેશ સ્થિત આ આરોપીઓના ઠેકાણા પર દરોડા પાડીને તપાસ કરી હતી.
અંતે, પોલીસે ટેકનિકલ સર્વેલન્સના આધારે આરોપી બરુંનવાલ ગેઈના યાદવની બેંગ્લુરુ ખાતેથી ધરપકડ કરવામાં સફળતા મેળવી છે. ઇછ્છાપોર પોલીસ હવે આ ટોળકીના અન્ય સભ્યોને ઝડપી પાડવા અને સમગ્ર રેકેટના મૂળ સુધી પહોંચવા માટે વધુ તપાસ હાથ ધરી છે.
