નવી દિલ્હી: ભારતીય ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી (TRAI) દ્વારા દેશના કરોડો મોબાઈલ યુઝર્સ માટે રાહતના સમાચાર આપવામાં આવ્યા છે. TRAI એ ‘ટેલિકોમ કન્ઝ્યુમર પ્રોટેક્શન (13મો સુધારો) રેગ્યુલેશન્સ, 2026’ નો ડ્રાફ્ટ રજૂ કર્યો છે. આ નવા નિયમ મુજબ, હવે ટેલિકોમ કંપનીઓએ ફરજિયાતપણે એવા રિચાર્જ પ્લાન લાવવા પડશે જેમાં ડેટા વગર માત્ર વોઈસ કોલિંગ અને SMS ની સુવિધા હોય.
શા માટે લેવાયો આ નિર્ણય?
વર્તમાન સમયમાં મોટાભાગની ટેલિકોમ કંપનીઓ (Jio, Airtel, Vi) એવા પ્લાન ઓફર કરે છે જેમાં ડેટા બંડલ તરીકે આવે છે. જે ગ્રાહકોને ઇન્ટરનેટની જરૂર નથી, તેમણે પણ ડેટાના કારણે મોંઘા પ્લાન લેવા પડે છે. TRAI એ નોંધ્યું કે કંપનીઓ ગ્રાહકોને મર્યાદિત વિકલ્પો આપી રહી છે, જેના કારણે ટૂંકા ગાળાના અને સસ્તા પ્લાનની માંગ વધી રહી હતી.
નવા નિયમથી શું બદલાશે?
નવા પ્રસ્તાવ મુજબ ટેલિકોમ કંપનીઓએ નીચે મુજબના ફેરફાર કરવા પડશે:
- સેપરેટ વાઉચર્સ: કંપનીઓએ ડેટા પેકની સાથે સાથે માત્ર વોઈસ અને SMS વાળા અલગ વાઉચર્સ આપવા પડશે.
- દરેક વેલિડિટી માટે વિકલ્પ: દરેક વેલિડિટી પીરિયડ (જેમ કે 28 દિવસ, 56 દિવસ કે 84 દિવસ) માટે ડેટા વગરના સસ્તા પ્લાન ઉપલબ્ધ કરાવવા પડશે.
- ઓછી કિંમત: આ પ્લાનની કિંમત વર્તમાન ડેટા-બંડલ પ્લાન કરતા પ્રમાણસર ઘણી ઓછી હશે, જે ગ્રાહકોના ખિસ્સા પરનો બોજ ઘટાડશે.
કોને થશે સૌથી વધુ ફાયદો?
આ નિર્ણયથી ખાસ કરીને એવા વર્ગને ફાયદો થશે જેમને ઇન્ટરનેટનો ઉપયોગ ઓછો અથવા બિલકુલ નથી:
- વડીલો: જેઓ માત્ર ફોન પર વાત કરવા માટે મોબાઈલ વાપરે છે.
- ફીચર ફોન યુઝર્સ: જેમના ફોનમાં ઇન્ટરનેટની જરૂરિયાત હોતી નથી.
- સેકન્ડરી સિમ કાર્ડ: જે લોકો પોતાનું બીજું સિમ કાર્ડ માત્ર ચાલુ રાખવા માંગે છે.
ક્યારથી લાગુ થશે આ નિયમ?
TRAI એ આ ડ્રાફ્ટ પર તમામ હિતધારકો અને સામાન્ય જનતા પાસેથી સૂચનો મંગાવ્યા છે. આ સૂચનો સબમિટ કરવાની છેલ્લી તારીખ 28 એપ્રિલ 2026 છે. ત્યારબાદ આ સૂચનોનો અભ્યાસ કરી ટૂંક સમયમાં નવા નિયમો સત્તાવાર રીતે લાગુ કરવામાં આવશે.
