આણંદ/કરમસદ: રાજ્યમાં હાલ કાતિલ ઠંડીની લહેર ચાલી રહી છે ત્યારે સમાજના છેવાડાના અને ઘરવિહોણા લોકો સુરક્ષિત રહે તે હેતુથી કરમસદ-આણંદ મહાનગરપાલિકા દ્વારા પ્રશંસનીય કામગીરી હાથ ધરવામાં આવી છે. શહેરના માર્ગો પર ખુલ્લામાં રાત્રિ પસાર કરતા લોકોને સુરક્ષિત આશરો આપવા માટે તંત્ર દ્વારા ખાસ ‘નાઇટ ડ્રાઇવ’ શરૂ કરવામાં આવી છે. છેલ્લા ઘણા દિવસોથી મહાનગરપાલિકાની ટીમ દ્વારા મોડી રાત્રે શહેરના વિવિધ વિસ્તારો જેવા કે બસ સ્ટેન્ડ, રેલવે સ્ટેશન રોડ, જાહેર બગીચાઓ અને ફ્લાયઓવર નીચે તપાસ કરવામાં આવી રહી છે.
પંડિત દીનદયાળ ઉપાધ્યાય આશ્રયસ્થાનમાં હૂંફાળો આશરો
કરમસદ-આણંદ મહાનગરપાલિકાની ટીમ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવેલા આશરે ૫૦ જેટલા લોકોને પાલિકા સંચાલિત ‘પંડિત દીનદયાળ ઉપાધ્યાય આશ્રયસ્થાન’ (Rain Basera) ખાતે લઈ જવામાં આવ્યા છે. આ આશ્રયસ્થાનમાં રહેનારાઓ માટે તંત્ર દ્વારા વિવિધ સુવિધાઓ સુનિશ્ચિત કરવામાં આવી છે. જેમાં ઠંડીથી રક્ષણ માટે દરેક વ્યક્તિ માટે પૂરતા પ્રમાણમાં ગાદલા, ઓશીકા અને ગરમ ધાબળાની વ્યવસ્થા કરવામાં આવી છે. તેમજ રહેવા માટે સ્વચ્છ હોલ, પીવાનું શુદ્ધ પાણી અને શૌચાલયની પૂરતી સગવડ ઉપલબ્ધ છે. જરૂર જણાયે વૃદ્ધો અને બીમાર વ્યક્તિઓ માટે પ્રાથમિક તબીબી તપાસ પણ હાથ ધરવામાં આવે છે.
નાગરિકોને સહયોગ આપવા અપીલ
તંત્રના આ માનવીય અભિગમને કારણે અનેક નિરાધાર લોકોને કડકડતી ઠંડીમાં જીવનદાન મળ્યું છે. મહાનગરપાલિકા દ્વારા નાગરિકોને પણ અપીલ કરવામાં આવી છે કે જો તેમને આણંદ કે કરમસદ વિસ્તારમાં કોઈ વ્યક્તિ ફૂટપાથ પર ઠંડીમાં સૂતેલી જોવા મળે, તો માનવતાના નાતે મહાનગરપાલિકાના કંટ્રોલ રૂમનો સંપર્ક કરવો અથવા તેમને નજીકના આશ્રયસ્થાન વિશે જાણ કરવી.
