વડોદરા: વડોદરા મહાનગરપાલિકાની ગંભીર બેદરકારીના કારણે વધુ એક નિર્દોષ નાગરિકે પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. ગત ૨૬ ડિસેમ્બરના રોજ માંજલપુર ટાંકી ખાતે પાણી પુરવઠા શાખા દ્વારા ભૂગર્ભ સંપની સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી હતી. સવારનું પાણી વિતરણ પૂર્ણ થયા બાદ શરૂ થયેલી આ કામગીરી સાંજે અંદાજે ૭ વાગ્યે પૂર્ણ થઈ હતી. જોકે, કામગીરી બાદ ઈજારદાર અને જવાબદાર અધિકારીઓ દ્વારા મેનહોલ ચેમ્બર બંધ કરવામાં આવી ન હતી.
સલામતીના નિયમોના ધજાગરા: નિર્દોષનું મોત
નિયમ મુજબ જ્યારે પણ જાહેર સ્થળોએ કોઈ તાંત્રિક કામગીરી કરવામાં આવે, ત્યારે ત્યાં સલામતીના બોર્ડ, સાઈનેજીસ અથવા બેરીકેટિંગ કરવું ફરજિયાત હોય છે. માંજલપુરની આ ઘટનામાં આવી કોઈ પણ તકેદારી રાખવામાં આવી ન હતી. ખુલ્લા મેનહોલને કારણે એક રાહદારી તેમાં પડી જતાં તેમનું કરૂણ મૃત્યુ નીપજ્યું હતું. આ ઘટનાને પગલે સ્થાનિકોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે.
તંત્રની કડક કાર્યવાહી: એન્જિનિયર સસ્પેન્ડ
આ ગંભીર ઘટના બાદ વડોદરા મહાનગરપાલિકા દ્વારા પ્રસિદ્ધ કરાયેલ અખબારી યાદી મુજબ, પ્રાથમિક દ્રષ્ટિએ ફરજ પ્રત્યે બેદરકારી અને નિષ્કાળજી જણાતા આકરા પગલાં લેવામાં આવ્યા છે:
એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર: અતુલ ગણેશભાઈ ભલગામીયાને ફરજમાં બેદરકારી બદલ તાત્કાલિક અસરથી ફરજ મોકૂફ (સસ્પેન્ડ) કરવામાં આવ્યા છે.
નાયબ કાર્યપાલક ઈજનેર: હરિક્રુષ્ણ લાલજીભાઈ મનાનીને આ મામલે શો-કોઝ નોટિસ ફટકારવામાં આવી છે.
મનપાની આ કાર્યવાહીથી અન્ય અધિકારીઓમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે. પરંતુ પ્રશ્ન એ ઊભો થાય છે કે શું માત્ર સસ્પેન્શનથી ગુમાવેલો જીવ પાછો આવશે? તંત્ર ક્યારે આવી બેદરકારીઓ બંધ કરશે તે જોવું રહ્યું.
