નવી દિલ્હી: છેલ્લા કેટલાક દિવસોથી સોશિયલ મીડિયા અને કેટલાક મીડિયા અહેવાલોમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે સરકારે એલપીજી (LPG) ગેસ સિલિન્ડરના રીફિલ બુકિંગ માટેના સમયગાળામાં ફેરફાર કર્યો છે. આ અહેવાલોમાં પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના (PMUY) અને નોન-PMUY જોડાણો માટે અલગ-અલગ દિવસોની મર્યાદા નક્કી કરવામાં આવી હોવાની વાત વહેતી થઈ હતી. જોકે, ભારત સરકારના પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો (PIB) દ્વારા આજે ૨૫ માર્ચ, ૨૦૨૬ ના રોજ સત્તાવાર સ્પષ્ટતા કરવામાં આવી છે કે આ તમામ અહેવાલો પાયાવિહોણા અને ખોટા છે.
શું છે જૂના અને વર્તમાન નિયમો?
સરકારે સ્પષ્ટ કર્યું છે કે ગેસ કનેક્શનના પ્રકારને ધ્યાનમાં લીધા વિના, રીફિલ બુકિંગ માટેના હાલના નિયમોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. નિયમો મુજબ:
- શહેરી વિસ્તારો (Urban Areas): રીફિલ બુકિંગ માટે ૨૫ દિવસનો ગાળો યથાવત છે.
- ગ્રામીણ વિસ્તારો (Rural Areas): રીફિલ બુકિંગ માટે ૪૫ દિવસનો ગાળો યથાવત છે.
ભલે તમારી પાસે સિંગલ બોટલ કનેક્શન હોય કે ડબલ બોટલ, આ સમયમર્યાદા તમામ ગ્રાહકો માટે સમાન રહેશે.
પાનિક બુકિંગ ન કરવા સરકારની અપીલ
સરકારે નાગરિકોને અપીલ કરી છે કે આવી ખોટી માહિતી પર વિશ્વાસ ન કરવો અથવા તેને શેર ન કરવી. અફવાઓને કારણે ગભરાઈને બિનજરૂરી ‘પાનિક બુકિંગ’ ટાળવા પણ સૂચના આપવામાં આવી છે. સરકાર દ્વારા ભારપૂર્વક જણાવવામાં આવ્યું છે કે દેશમાં LPG નો પૂરતો સ્ટોક ઉપલબ્ધ છે અને પુરવઠા બાબતે ચિંતા કરવાનું કોઈ કારણ નથી.
ગેરમાર્ગે દોરનારા અહેવાલોથી સાવધ રહો
વાયરલ થઈ રહેલી ખોટી માહિતીમાં એવો દાવો કરાયો હતો કે PMUY માટે ૪૫ દિવસ, નોન-PMUY સિંગલ બોટલ માટે ૨૫ દિવસ અને ડબલ બોટલ માટે ૩૫ દિવસનો ગાળો નક્કી કરાયો છે. આ પ્રકારના કોઈ પણ આંકડા સત્તાવાર નથી અને ગ્રાહકોએ માત્ર સરકાર દ્વારા જાહેર કરાયેલ ૨૫ અને ૪૫ દિવસના નિયમને જ ધ્યાને લેવો જોઈએ.
