ગાંધીનગર: ગુજરાતમાં વધતા જતા સાયબર ક્રાઈમના ગુનાઓને રોકવા અને ગુનેગારોને ઝડપી પકડવા માટે રાજ્ય સરકાર દ્વારા એક મોટો અને મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યના ગૃહ વિભાગે હવે ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS)ની જેમ જ સાયબર ક્રાઈમ માટે એક અલગ અને અદ્યતન યુનિટ બનાવવાની જાહેરાત કરી છે.
આ નવા યુનિટનું મુખ્ય મથક ગાંધીનગરમાં હશે, જ્યાં એક અલાયદા ભવનનું નિર્માણ પણ કરવામાં આવશે. આ ભવન અત્યાધુનિક ટેકનોલોજી અને ઉપકરણોથી સજ્જ હશે જેથી સાયબર ગુનાઓને વધુ અસરકારક રીતે ઉકેલી શકાય.
ઉચ્ચ કક્ષાના અધિકારીઓ સાથે યુનિટની રચના
આ સાયબર યુનિટમાં ઉચ્ચ કક્ષાના અધિકારીઓની નિમણૂક કરવામાં આવશે. જેમાં એક IG અને એક DIG કક્ષાના અધિકારી મુખ્ય હશે. આ ઉપરાંત, આ યુનિટમાં 5 પોલીસ અધિક્ષક (SP), 8 નાયબ પોલીસ અધિક્ષક (DYSP) અને 15 પોલીસ ઈન્સ્પેક્ટર (PI) જેવા અધિકારીઓનો સમાવેશ કરવામાં આવશે. આ ખાસ તાલીમબદ્ધ ટીમ સાયબર ગુનાઓ સાથે જોડાયેલા પડકારોનો સામનો કરવા માટે સજ્જ હશે.
આ યુનિટની રચના પાછળનો મુખ્ય હેતુ રાજ્યમાં ઓનલાઇન છેતરપિંડી, ફ્રોડ, ડેટા ચોરી અને અન્ય સાયબર હુમલાઓ જેવી પ્રવૃત્તિઓ પર કડક નિયંત્રણ લાવવાનો છે. આર્થિક સત્તા અને વહીવટી કાર્યક્ષમતા માટે એક અલગ બોર્ડ કે નિગમની પણ રચના કરવામાં આવશે. ગુજરાત પોલીસની આ નવી પહેલ સાયબર સ્પેસમાં સુરક્ષાનું વાતાવરણ ઊભું કરવામાં મદદ કરશે.
