વડનગર: ગુજરાત પ્રવાસન નિગમ (Gujarat Tourism) દ્વારા પવિત્ર શ્રાવણ માસ દરમિયાન ઐતિહાસિક અને પૌરાણિક નગરી વડનગર ખાતે આયોજિત ‘વડનગર શ્રાવણોત્સવ’ ને પ્રવાસીઓનો અકલ્પનીય અને અભૂતપૂર્વ પ્રતિસાદ સાંપડ્યો છે. શર્મિષ્ઠા તળાવના મુખ્ય ઘાટ પર યોજાયેલા આ મહોત્સવમાં શિવ આરાધના, શાસ્ત્રીય સંગીત, નૃત્ય અને આકર્ષક લેસર શોએ પ્રવાસીઓને મંત્રમુગ્ધ કરી દીધા છે. ત્રણ રવિવાર દરમિયાન અંદાજિત ૪૦ હજારથી વધુ શિવભક્તો અને પ્રવાસીઓએ વડનગરની મુલાકાત લઈને ભક્તિ અને સાંસ્કૃતિક વિરાસતનો સંગમ માણ્યો છે.
રવિવાર દર રવિવારે પ્રવાસીઓનો સતત વધતો ગ્રાફ
શ્રાવણોત્સવ દરમિયાન વડનગર આવતા પ્રવાસીઓ તેમજ સાંજે યોજાતા આકર્ષક સાંસ્કૃતિક કાર્યક્રમોમાં હાજરી આપનાર લોકોની સંખ્યામાં દર અઠવાડિયે મોટો ઉછાળો જોવા મળ્યો છે:
| તારીખ / રવિવાર | કુલ વડનગર મુલાકાતીઓ | સાંસ્કૃતિક કાર્યક્રમના શ્રોતાઓ | મુખ્ય આકર્ષણ અને રજૂઆતો |
| ૧૬ ઓગસ્ટ, ૨૦૨૬ | ૧૦,૪૨૭ | ૨,૫૭૩ | ગણેશ વંદના, શિવ તાંડવ, રુદ્રપાઠ અને શિવ ભજનો |
| ૨૩ ઓગસ્ટ, ૨૦૨૬ | ૧૩,૬૪૪ | ૩,૩૦૫ | સિતાર-વાંસળી વાદન, ક્લાસિકલ નૃત્ય અને ‘ભૂ શંભુ’ કાર્યક્રમ |
| ૩૦ ઓગસ્ટ, ૨૦૨૬ | ૧૪,૦૪૮ | ૪,૩૩૦ | હાટકેશ્વર મહાદેવની પ્રસ્તુતિ, ઓમકાર નાદ અને હુડો રાસ |
| કુલ (૩ રવિવાર) | ૩૮,૧૧૯ પ્રવાસીઓ | ૧૦,૨૦૮ શ્રોતાઓ | લાઈટિંગ, લાઈટ એન્ડ સાઉન્ડ શો અને લેસર ડિસ્પ્લે |
૬ સપ્ટેમ્બરે શ્રાવણોત્સવનો ‘ગ્રાન્ડ ફિનાલે’: ગુજરાત પ્રવાસનનું વિશેષ આમંત્રણ
આવતીકાલે એટલે કે તા. ૬ સપ્ટેમ્બર, ૨૦૨૬ના રોજ ‘વડનગર શ્રાવણોત્સવ’નો અંતિમ અને આખરી કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે. શિવભક્તિ અને ગુજરાતના સમૃદ્ધ વારસાને ઉજાગર કરતા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે શર્મિષ્ઠા તળાવ પરિસરમાં આકર્ષક લાઈટ એન્ડ સાઉન્ડ શો યોજાશે. જે પ્રવાસીઓ કે શિવભક્તો અગાઉના આયોજનો ચૂકી ગયા છે, તેમના માટે આ અંતિમ કાર્યક્રમ એક શ્રેષ્ઠ તક સમાન છે. ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા તમામ નાગરિકોને આ અંતિમ સાંસ્કૃતિક સંધ્યામાં ભાગ લેવા હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
શ્રાવણોત્સવ સાથે વડનગરના પુરાતત્વીય વૈભવની સફર
વડનગર આવતા પ્રવાસીઓ માટે શ્રાવણોત્સવની સાથે સાથે વડનગરના વિશ્વપ્રસિદ્ધ ઐતિહાસિક સ્થળોની મુલાકાત પણ યાદગાર બની રહી છે:
- હાટકેશ્વર મહાદેવ મંદિર: વડનગરના આરાધ્ય દેવના દર્શન.
- કીર્તિ તોરણ: સ્થાપત્ય કળાની અજોડ મિશાલ અને ગુજરાતનું ગૌરવ.
- તાના-રીરીની સમાધિ: મલ્હાર રાગથી સંગીત ક્ષેત્રે અમર થયેલી બે બહેનોનું સ્મારક.
- શર્મિષ્ઠા તળાવ: નયનરમ્ય ઘાટ, આકર્ષક લાઇટિંગ અને પ્રકૃતિની ગોદ.
