વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે (૨૦ ઑક્ટોબર, ૨૦૨૫) દિવાળીનો પર્વ ભારતીય નૌસેનાના સ્વદેશી વિમાનવાહક જહાજ INS વિક્રાંત પર સશસ્ત્ર દળોના જવાનો સાથે ઉજવ્યો હતો. આ અવસરને તેમણે ‘અતુલ્ય દિવસ, અતુલ્ય ક્ષણ અને અતુલ્ય દૃશ્ય’ ગણાવ્યો હતો. વડાપ્રધાને INS વિક્રાંતના ડેક પરથી દેશના ૧૪૦ કરોડ નાગરિકોને દિવાળીની હૃદયપૂર્વક શુભેચ્છાઓ પાઠવી હતી.
વડાપ્રધાને INS વિક્રાંતને માત્ર એક યુદ્ધ જહાજ નહીં, પરંતુ ૨૧મી સદીના ભારતના પરિશ્રમ, પ્રતિભા, પ્રભાવ અને પ્રતિબદ્ધતાનું પ્રમાણપત્ર ગણાવ્યું હતું. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, INS વિક્રાંત એ ‘આત્મનિર્ભર ભારત’ અને **’મેડ ઇન ઇન્ડિયા’**નું શક્તિશાળી પ્રતીક છે.
વિક્રાંતની શક્તિ અને સંરક્ષણ ક્ષેત્રે આત્મનિર્ભરતા:
PM મોદીએ યાદ અપાવ્યું કે, INS વિક્રાંતનું નામ જ દુશ્મનની audacity (હિંમત) પર પૂર્ણવિરામ મૂકવા માટે પૂરતું છે. તેમણે ભારતીય નૌસેનાને વિશેષ સલામ કરી હતી અને જણાવ્યું હતું કે, ભારતીય નૌસેનાની તાકાત, વાયુસેનાના કૌશલ્ય અને સેનાની બહાદુરીના અસાધારણ સમન્વયના કારણે જ ઓપરેશન સિંદૂર દરમિયાન પાકિસ્તાનને ઝડપથી આત્મસમર્પણ કરવાની ફરજ પડી હતી.
વડાપ્રધાને ભાર મૂક્યો હતો કે, છેલ્લા એક દાયકામાં ભારતીય સંરક્ષણ દળો સતત આત્મનિર્ભરતા તરફ આગળ વધ્યા છે. ભારતીય સેનાએ હવે હજારો વસ્તુઓની આયાત ન કરવાનો સંકલ્પ લીધો છે, જેના પરિણામે મોટાભાગના આવશ્યક સૈન્ય ઉપકરણો હવે દેશમાં જ બની રહ્યા છે. તેમણે જણાવ્યું હતું કે, ભારતનું સંરક્ષણ ઉત્પાદન (Defence Production) છેલ્લા ૧૧ વર્ષમાં ત્રણ ગણું વધીને રૂ.૧.૫ લાખ કરોડને પાર કરી ગયું છે.
સંરક્ષણ નિકાસનું લક્ષ્ય અને વૈશ્વિક ભૂમિકા:
વડાપ્રધાને જાહેર કર્યું કે, ભારતનું લક્ષ્ય વિશ્વના ટોચના સંરક્ષણ નિકાસકારોમાં સ્થાન મેળવવાનું છે. છેલ્લા એક દાયકામાં ભારતની સંરક્ષણ નિકાસ (Defence Exports)માં ૩૦ ગણાથી વધુ વધારો થયો છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, ભારતીય નૌસેના હિંદ મહાસાગરના રક્ષક તરીકે વૈશ્વિક સ્થિરતા સુનિશ્ચિત કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે.
માઓવાદી આતંકવાદનો અંત:
વડાપ્રધાને જણાવ્યું કે, સુરક્ષા દળોની વીરતા અને સંકલ્પના કારણે રાષ્ટ્રે એક મહત્ત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે. ભારત હવે માઓવાદી આતંકવાદને નાબૂદ કરવાની નજીક છે. ૨૦૧૪ પહેલાં જે ૧૨૫ જિલ્લાઓ માઓવાદી હિંસાથી પ્રભાવિત હતા, તે સંખ્યા હવે ઘટીને માત્ર ૧૧ થઈ ગઈ છે, અને ૧૦૦થી વધુ જિલ્લાઓ સંપૂર્ણપણે માઓવાદીઓના આતંકના પડછાયામાંથી બહાર આવીને આઝાદીની હવા લઈ રહ્યા છે.
