સુરતના ધારાસભ્ય અને ગુજરાતના પૂર્વ આરોગ્ય મંત્રી કુમાર કાનાણીએ રાજ્યમાં નકલી દવાઓ અને ખાદ્ય પદાર્થોમાં બેફામ ભેળસેળ કરનારા માફિયાઓ વિરુદ્ધ આક્રોશ વ્યક્ત કર્યો છે. તેમણે વર્તમાન આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાને પત્ર લખીને તાત્કાલિક કડક કાયદો બનાવવા અને તેનો સખત અમલ કરવાની માંગ કરી છે.
કુમાર કાનાણીએ પત્રમાં જણાવ્યું કે, ભેળસેળ કરનારા તત્ત્વો હાલમાં બેફામ બની ગયા છે અને તેમને જાણે કોઈનો ડર રહ્યો નથી. લોકોના જીવની કઈ પડી ન હોય તે પ્રકારે જાહેર સ્વાસ્થ્ય માટે જોખમી આ પ્રવૃત્તિઓ બેરોકટોક ચાલી રહી છે.
વિધાનસભાથી લઈને મંત્રીને રજૂઆત:
કાનાણીએ ઉલ્લેખ કર્યો કે, આ ગંભીર મુદ્દો તેમણે અગાઉ વિધાનસભામાં પણ ઉઠાવ્યો હતો. એટલું જ નહીં, પૂર્વ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલને પણ તેમણે આ પ્રવૃત્તિઓ રોકવા માટે વિશેષ કાયદો બનાવવાની માંગણી કરી હતી. જોકે, લાંબા સમયથી આવી રજૂઆતો કરવા છતાં તેનું નિરાકરણ ન આવતા તેમણે ફરી એકવાર આ બાબતે માગણી કરી છે.
તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, નકલી દવા બનાવનારા અને વેચનારા માફિયાઓ તેમજ ખાદ્ય પ્રદાર્થમાં ભેળસેળ કરનારા તત્ત્વોને ડર લાગે તેવો કોઈ કાયદો હાલમાં અમલમાં નથી.
ગરીબ વિસ્તારોને નિશાન:
કાનાણીએ ચેતવણી આપી કે, આ ભેળસેળિયાઓ ખૂબ જ સસ્તા ભાવે અંતરિયાળ વિસ્તારો કે નાની કરિયાણા અને ડેરીની દુકાનો ઉપર વસ્તુઓનું વેચાણ કરે છે, જેનાથી ગરીબ અને સામાન્ય જનતા સીધી રીતે જોખમમાં મુકાય છે.
આરોગ્ય પર ગંભીર અસર:
પૂર્વ મંત્રીએ નિષ્ણાતોના મંતવ્યોનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, આવા અખાદ્ય ખોરાક ના લાંબા ગાળાના સેવનથી લોકોને કેન્સર, શ્વાસોશ્વસની તકલીફ, પેટની ગંભીર બીમારીઓ સહિતની ઘણી બીમારીઓ થઈ શકે છે. તેથી, જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે તાત્કાલિક કડક કાયદાની જરૂર છે.
