નવી દિલ્હી: કેન્દ્ર સરકાર દ્વારા યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (UGC) માટે બનાવવામાં આવેલા નવા ઈક્વિટી નિયમોને લઈને દેશભરમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શન વચ્ચે સુપ્રીમ કોર્ટે મોટો નિર્ણય લીધો છે. સવર્ણ સમાજ અને ભાજપના જ કેટલાક નેતાઓના વિરોધ બાદ આજે સર્વોચ્ચ અદાલતે આ નિયમો પર વચગાળાની રોક (Stay) લગાવી દીધી છે. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે હાલ પૂરતા વર્ષ 2012ના જૂના નિયમો જ અમલી રહેશે.
‘દુરુપયોગનો ખતરો વધારે છે’: સુપ્રીમ કોર્ટ
ચીફ જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ જોયમાલ્યા બાગચીની બેન્ચે સુનાવણી દરમિયાન આકરા વેણ ઉચ્ચાર્યા હતા. કોર્ટે જણાવ્યું કે UGCના નવા નિયમો અત્યંત અસ્પષ્ટ છે. CJI સૂર્યકાંતે ચિંતા વ્યક્ત કરી હતી કે, નિયમોની અસ્પષ્ટતાને કારણે તોફાની તત્વો તેનો દુરુપયોગ કરી શકે છે અને તેનાથી સમાજમાં વિભાજન પેદા થઈ શકે છે. કોર્ટે સોલિસિટર જનરલ તુષાર મહેતાને ટકોર કરી હતી કે આ મુદ્દાની સમીક્ષા કરવા માટે પ્રતિષ્ઠિત લોકોની એક સમિતિ બનાવવાની વિચારણા કરવામાં આવે.
જાતિવાદ પર સીજેઆઈની ભાવુક ટિપ્પણી
સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસ સૂર્યકાંતે દેશની સામાજિક સ્થિતિ પર ખેદ વ્યક્ત કરતા કહ્યું કે, “સ્વતંત્રતાના 75 વર્ષ બાદ પણ આ દેશ જાતિઓની જાળમાંથી બહાર નથી આવી શક્યો.” જસ્ટિસ બાગચીએ પણ ઉમેર્યું હતું કે, આપણે એવી સ્થિતિમાં ન પહોંચવું જોઈએ જ્યાં બાળકોએ જ્ઞાતિ કે રંગના આધારે અલગ-અલગ શાળાઓમાં ભણવું પડે. અરજી કરનારા વકીલ વિષ્ણુ શંકર જૈને UGCની ધારા 3(C) ને ગેરબંધારણીય ગણાવી હતી.
જૂના નિયમો જ રહેશે અમલી
કોર્ટે આદેશ આપ્યો છે કે જ્યાં સુધી આ મામલે અંતિમ નિર્ણય ન આવે ત્યાં સુધી 2012ના સંતુલિત નિયમો મુજબ જ કામગીરી ચાલશે. નવા નિયમોમાં જે શબ્દપ્રયોગો કરવામાં આવ્યા છે તે સામાજિક સમરસતા માટે જોખમી હોવાનું કોર્ટનું પ્રાથમિક અવલોકન છે. હવે આ મામલે આગામી સુનાવણી 19 માર્ચ ના રોજ થશે, જેમાં સમિતિની રચના અને નિયમોની કાયદેસરતા અંગે મહત્વનો આદેશ અપાઈ શકે છે.
