શામળાજી: વસંત પંચમીના પાવન અવસરે અરવલ્લી જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી ખાતે ‘પર્વત પૂજા અને પ્રકૃતિ સંરક્ષણ મહોત્સવ’નો શાનદાર પ્રારંભ થયો હતો. ગુજરાત રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાના હસ્તે શાસ્ત્રોક્ત વિધિથી અરવલ્લીની ગિરિમાળાઓનું પૂજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દ્વારા પ્રકૃતિ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી આબોહવા પરિવર્તનના પડકારો સામે લડવા જનજાગૃતિનો સંદેશ આપવામાં આવ્યો હતો.
આદિવાસી સંસ્કૃતિ જ વન સંસ્કૃતિ: અર્જુન મોઢવાડિયા
કાર્યક્રમના અધ્યક્ષ સ્થાનેથી બોલતા મંત્રી અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે, “વિશ્વમાં જો કોઈ સર્વપ્રથમ સંસ્કૃતિ જન્મી હોય તો તે વન સંસ્કૃતિ છે, જે આજે આદિવાસી સમાજે સાચવી રાખી છે. વન વિભાગના પ્રયત્નો અને આદિજાતિ સમુદાયના સહયોગને કારણે જ આજે આપણા જંગલો સુરક્ષિત છે.” તેમણે વધુમાં એક મહત્વની પ્રતિબદ્ધતા દર્શાવતા કહ્યું કે, “અરવલ્લીમાંથી એક પથ્થર કે એક ઇંચ પણ ઓછો થવા દેવામાં આવશે નહીં.” તેમણે અરવલ્લીમાં ‘ગ્રીન વોલ’ ઉભી કરવાની અને ડ્રોન જેવી આધુનિક ટેક્નોલોજીની મદદથી ડુંગરોને હરિયાળા બનાવવાની જાહેરાત કરી હતી.
ગ્રીન ગુજરાત માટે ‘એક પેડ મા કે નામ’
અર્જુન મોઢવાડિયાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘એક પેડ મા કે નામ’ અભિયાનનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે, ગુજરાતમાં ૧૦ કરોડ ૫૦ લાખ રોપાઓ વાવવાનું લક્ષ્ય છે. તેમણે ખેડૂતોને ચંદન જેવા મૂલ્યવાન વૃક્ષો વાવવા અને રાસાયણિક ખેતી છોડી પ્રાકૃતિક ખેતી તરફ વળવા અનુરોધ કર્યો હતો. વનપેદાશોના બ્રાન્ડિંગ દ્વારા આદિવાસી સમુદાયને આર્થિક રીતે મજબૂત બનાવવાની યોજના પર પણ તેમણે ભાર મૂક્યો હતો.
અરવલ્લીની જૈવવિવિધતાનું મહત્વ
રાજ્યકક્ષાના મંત્રી પી. સી. બરાંડાએ પ્રકૃતિ સંરક્ષણના મહત્વ પર પ્રકાશ પાડતા જણાવ્યું કે, અરવલ્લી પર્વતમાળા ગુજરાતની આબોહવાને સંતુલિત રાખવા માટે આધારસ્તંભ છે. આદિજાતિ વિસ્તારોમાં ઇકો-ટુરિઝમના વિકાસ દ્વારા રોજગારીની નવી તકો ઉભી કરવામાં આવશે.
આ મહોત્સવમાં જિલ્લા પ્રમુખ પ્રિયાંકા ડામોર, ધારાસભ્યો, કલેક્ટર પ્રશસ્તિ પારીક, DDO દીપેશ કેડિયા અને વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં સ્થાનિક જનમેદની ઉપસ્થિત રહી હતી.
