સુરત: બ્રિજ સિટી તરીકે ઓળખાતા સુરત શહેરમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે વધુ એક યશકલગી ઉમેરાઈ છે. સુરત મહાનગરપાલિકા દ્વારા ભીમરાડથી સિદ્ધાર્થનગર થઈ ડીંડોલીને જોડતા માર્ગ પર ₹34 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવેલા નવનિર્મિત ફ્લાયઓવર બ્રિજનું આજે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ બ્રિજ શરૂ થવાથી દક્ષિણ સુરતના હજારો વાહનચાલકોને મોટી રાહત મળશે.
બ્રિજની વિશેષતાઓ અને ભૌગોલિક કનેક્ટિવિટી
સુરત-નવસારી રોડને ક્રોસ કરતા આ ફ્લાયઓવરની કુલ લંબાઈ 502 મીટર અને પહોળાઈ 22.5 મીટર છે. આ બ્રિજ સીધો 45 મીટર પહોળા સી.સી. રોડ સાથે ભીમરાડ વિસ્તારને જોડે છે. બ્રિજનો બીજો છેડો ભેસ્તાન અને કરાડવાને જોડતા સિદ્ધાર્થનગર ખાતે ચાલી રહેલા રેલ્વે ઓવરબ્રિજ (ROB) ના કામ સાથે જોડાય છે. આ વ્યૂહાત્મક જોડાણને કારણે સુરત-નવસારી મેઈન રોડ પર વાહનોનું ભારણ નોંધપાત્ર રીતે ઘટશે.
વિકાસના નવા દ્વાર ખુલશે
લોકાર્પણ પ્રસંગે મંત્રી સી.આર.પાટીલે જણાવ્યું હતું કે, આ બ્રિજ માત્ર ટ્રાફિક હળવો નહીં કરે પરંતુ ઔદ્યોગિક વિકાસને પણ વેગ આપશે. ખાસ કરીને ભગવતીનગર ઇન્ડસ્ટ્રીઝ અને ઉધના વિસ્તારના વાહનચાલકોને સીધો ફાયદો થશે. ભવિષ્યમાં જ્યારે સિદ્ધાર્થનગર રેલ્વે ઓવરબ્રિજનું કામ પૂર્ણ થશે, ત્યારે આ માર્ગ રાષ્ટ્રીય ધોરીમાર્ગ નં. 48 થી 53 અને સુરત એરપોર્ટ તરફ જતી એક નવી સમાંતર કનેક્ટિવિટી પૂરી પાડશે.
મહાનુભાવોની ઉપસ્થિતિ
આ લોકાર્પણ કાર્યક્રમમાં સુરતના મેયર દક્ષેશ માવાણી, ધારાસભ્ય મનુભાઇ પટેલ સહિત મહાનગરપાલિકાના ઉચ્ચ અધિકારીઓ અને સ્થાનિક નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. નવા બ્રિજના પ્રારંભથી સ્થાનિક રહીશોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.
