વડોદરા: ગુજરાતમાં હાલ ઋતુચક્રમાં ભારે અનિશ્ચિતતા જોવા મળી રહી છે. એક તરફ શિયાળો વિદાય લેવાની તૈયારીમાં છે અને ઉનાળાનો પગરવ સંભળાઈ રહ્યો છે, ત્યારે અચાનક હવામાન વિભાગે રાજ્યના 8 જિલ્લાઓમાં હળવા વરસાદની આગાહી કરીને સૌને ચોંકાવી દીધા છે. છેલ્લા ઘણા સમયથી વાતાવરણમાં આવેલા પલટાને કારણે હવે ‘માવઠું’ થવાની પૂરેપૂરી શક્યતા સેવાઈ રહી છે.
કયા જિલ્લાઓમાં છે વરસાદની આગાહી?
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 24 કલાકમાં વાતાવરણમાં પલટો આવશે. જે જિલ્લાઓમાં વરસાદની સંભાવના છે તેમાં વડોદરા, ભરૂચ અને આણંદ ખેડા, મહીસાગર અને પંચમહાલ અરવલ્લી અને દાહોદ નો સમાવેશ થાય છે. આ પૈકી 4 જિલ્લાઓમાં તો તીવ્રતાને જોતા ‘યલો એલર્ટ’ પણ જાહેર કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે બે દિવસ પહેલા ડભોઈ સહિતના પંથકમાં અમીછાંટા પડ્યા હતા, જે હવે મોટા પાયે વરસાદમાં પરિવર્તિત થઈ શકે છે.
લગ્ન પ્રસંગોમાં વરસાદી વિઘ્ન
હાલ ગુજરાતમાં લગ્નની પૂરજોશ સીઝન ચાલી રહી છે. અનેક પરિવારોએ ખુલ્લા મેદાનો કે વાડીઓમાં પ્રસંગોનું આયોજન કર્યું છે. આવા સમયે વરસાદની આગાહીએ આયોજકો અને જાનૈયાઓની ઉંઘ ઉડાવી દીધી છે. “માંડવા નીચે રેઈનકોટ પહેરવો પડશે?” તેવી ચર્ચાઓ સોશિયલ મીડિયા પર શરૂ થઈ છે. કેટરર્સ અને ડેકોરેટર્સ પણ કિંમતી સામાન બચાવવા માટે ચિંતાતુર બન્યા છે.
ખેડૂતોની માથે ચિંતાના વાદળો
માત્ર લગ્ન પ્રસંગો જ નહીં, પરંતુ ખેતીવાડી માટે પણ આ કમોસમી વરસાદ આફત સમાન છે. શિયાળુ પાક તૈયાર થઈ રહ્યો છે ત્યારે જો વરસાદ પડે તો જીરું, ઘઉં અને રાયડા જેવા પાકોને ભારે નુકસાન થવાની ભીતિ છે. ખેડૂતોએ તૈયાર માલ સુરક્ષિત સ્થળે ખસેડવા માટે દોડધામ શરૂ કરી દીધી છે. હવામાન નિષ્ણાતોના મતે અરબી સમુદ્રમાં સર્જાયેલા ભેજવાળા પવનોને કારણે આ સ્થિતિ સર્જાઈ છે.
