સુરત: સુરતના કતારગામ વિસ્તારના ભાજપના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી વિનુ મોરડીયાએ અસામાજિક તત્વો અને ગુંડા તત્વો સામે લાલ આંખ કરી છે. સુરતમાં આયોજિત વાટલીયા પ્રજાપતિ સમાજના 68માં સમૂહ લગ્નોત્સવમાં હાજરી આપવા પહોંચેલા ધારાસભ્યએ મંચ પરથી જનમેદનીને સંબોધતા અત્યંત આક્રમક નિવેદન આપ્યું હતું. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે હવે કતારગામમાં કોઈ પણ ગેંગ કે અસામાજિક તત્વો ચલાવી લેવામાં આવશે નહીં.
“દીકરીઓની સુરક્ષાની જવાબદારી મારી એકલાની”
મહિલા સુરક્ષા અને કાયદો-વ્યવસ્થા અંગે વાત કરતા વિનુ મોરડીયાએ જણાવ્યું કે, “કોઈપણ સમાજની દીકરી હોય, તેની સુરક્ષાની જવાબદારી મારી એકલાની છે.” તેમણે વધુમાં ઉમેર્યું કે જો કોઈ દીકરીની છેડતી કરતા પકડાશે, તો તેની સામે FIR (પોલીસ ફરિયાદ) ની રાહ જોયા વગર જ શિક્ષા કરવામાં આવશે. આ નિવેદન દ્વારા તેમણે છેડતી કરનારા અને આવારા તત્વોને સીધી ચેતવણી આપી છે કે તેઓ કાયદાના સકંજામાં આવે તે પહેલા જ ધારાસભ્યના આકરા વલણનો સામનો કરવો પડશે.
પોતાના માણસોને પણ નહીં છોડવાની ખાતરી
ધારાસભ્યએ પોતાની નૈતિક છબી સ્પષ્ટ કરતા એક મહત્વપૂર્ણ જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે, “ભલે ગુનો કરનાર વ્યક્તિ ગમે તેટલો વગદાર હોય, જો તે ગુનો કરશે તો તેને 24 કલાકમાં જેલના સળિયા પાછળ ધકેલી દઈશ. જો મારો કોઈ અંગત માણસ કે મારી ગાડીમાં બેસનારો વ્યક્તિ પણ ગુનો કરશે, તો તેને પણ હું નહીં છોડું.” તેમણે કતારગામમાંથી તમામ ગેંગોનો સફાયો કરવાની અને અસામાજિક તત્વોને કાં તો સુધરી જવા અથવા વિસ્તાર છોડી દેવા અલ્ટીમેટમ આપ્યું હતું.
લોકોમાં જાગી સુરક્ષાની આશા
ધારાસભ્યના આ આક્રમક તેવરથી કતારગામના રહીશો અને ખાસ કરીને મહિલાઓમાં સુરક્ષાની એક નવી આશા જાગી છે. સમૂહ લગ્નમાં ઉપસ્થિત હજારો લોકોએ તેમના આ નિવેદનને તાળીઓના ગડગડાટથી વધાવી લીધું હતું. પોલીસ તંત્ર પણ હવે આ આદેશ બાદ સક્રિય બનીને અસામાજિક તત્વો સામે કાર્યવાહી તેજ કરે તેવી શક્યતા છે.
