વડોદરા ગ્રામ્ય જિલ્લાના ડભોઇ પોલીસ સ્ટેશનમાં સાયબર બ્લેકમેઈલીંગ અને ખોટી ઓળખ આપીને માનસિક ત્રાસ આપવાના એક ગંભીર કિસ્સામાં FIR દાખલ કરવામાં આવી છે. કાયાવરોહણ ગામના ૬૫ વર્ષીય વૃદ્ધ અતુલભાઇ હિરાભાઇ પટેલને અજાણ્યા ઇસમે ATS અધિકારી તરીકેની ખોટી ઓળખ આપીને બ્લેકમેઇલ કર્યા હતા, જેનાથી કંટાળીને તેમણે ઝેરી દવા પીને આત્મહત્યા કરી લીધી હતી.
ઘટના બાદ મૃતકના ભત્રીજા અંશભાઇ રાજેશભાઈ પટેલે ડભોઇ પોલીસ મથકે તા. ૨૫-૧૧-૨૦૨૫ના રોજ ફરિયાદ નોંધાવી હતી, જેનું કારણ મરણજનારની સુતક અને ક્રિયાવિધિમાં રોકાયેલું હોવાનું દર્શાવવામાં આવ્યું છે.
૪૦ કરોડના ફ્રોડની ધમકી અને માનસિક ત્રાસ
ફરિયાદી અંશભાઇના જણાવ્યા મુજબ, તેમના મોટા પપ્પા અતુલભાઇ હિરાભાઇ પટેલને આરોપી દ્વારા તા. ૧૬/૧૧/૨૦૨૫ની સવારથી જ હેરાન કરવામાં આવી રહ્યા હતા. અજાણ્યા ઇસમે અતુલભાઇના મોબાઇલ નંબર ઉપર વારંવાર વોટ્સએપ કોલ, વીડિયો કોલ અને મેસેજ કર્યા હતા. આરોપીએ પોતાની ઓળખ ‘ATS અધિકારી’ તરીકે આપી અને અતુલભાઇને “રૂપિયા ચાલીસ કરોડના ફ્રોડ” અંગેની ખોટી ધમકીઓ આપીને બ્લેકમેઇલ કરવાનું શરૂ કર્યું હતું.
ફરિયાદીએ પોલીસને વોટ્સએપ ચેટના સ્ક્રીનશોટ પણ રજૂ કર્યા છે, જેમાં આરોપીએ ‘ATS ડીપાર્ટમેન્ટ મુંબઇ’ લખેલ મેસેજ અને ATS ડીપાર્ટમેન્ટનું ખોટું આઇ-કાર્ડ (GOURAV GROVER) મોકલાવ્યું હતું. આ ખોટી ધમકીઓ અને સતત માનસિક ત્રાસના કારણે અતુલભાઇ ભાંગી પડ્યા હતા.
ખેડૂતનું કરુણ મૃત્યુ
આ માનસિક ત્રાસથી મરવા માટે મજબૂર થતાં અતુલભાઇએ તા. ૧૭/૧૧/૨૦૨૫ની વહેલી સવારના આશરે પાંચેક વાગ્યાના સુમારે પોતાના ઘરના પ્રથમ માળે આવેલા રૂમમાં કલોરોસીલ નામની કપાસમાં છાંટવાની ઝેરી દવા પી લીધી હતી. ગંભીર હાલતમાં તેમને તાત્કાલિક વડોદરાની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, પરંતુ સારવાર દરમિયાન તા. ૧૮/૧૧/૨૦૨૫ના રોજ સવારે ૦૮:૦૦ વાગ્યે તેમનું મૃત્યુ થયું હતું.
દાખલ કરાયેલી કલમો અને તપાસ
ડભોઇ પોલીસ સ્ટેશનમાં FIR હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આરોપી સામે B.N.S.S.ની કલમો અને IT એક્ટની કલમોનો સમાવેશ થાય છે. જેમાં દુષ્પ્રેરણા અને આઈટી એક્ટની કલમો નોંધવામાં આવી છે. આ કેસની વધુ તપાસ હાલમાં પોલીસ ઇન્સ્પેકટર વિરપાલસીંહ જોરૂભા ઝાલાને સોંપવામાં આવી છે. આ ઘટનાએ ફરી એકવાર સાયબર સુરક્ષા અંગેની જાગૃતિની જરૂરિયાત પર ભાર મૂક્યો છે.
