નવી દિલ્હી: મધ્ય પૂર્વમાં ઈરાન પર અમેરિકા અને ઈઝરાયેલના મિસાઈલ હુમલા બાદ પરિસ્થિતિ અત્યંત સ્ફોટક બની ગઈ છે. આ ભયાનક યુદ્ધ જેવી સ્થિતિની સીધી અસર આંતરરાષ્ટ્રીય હવાઈ સેવાઓ પર પડી છે. વિશ્વના સૌથી વ્યસ્ત ગણાતા દુબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ અને અલ મક્તૂમ એરપોર્ટ સહિત તેલ અવીવ, અબુ ધાબી, દોહા અને તહેરાનના એરપોર્ટ સુરક્ષા કારણોસર અનિશ્ચિત સમય માટે બંધ કરી દેવામાં આવ્યા છે. આ કટોકટીમાં ભારતની સ્ટાર એથ્લેટ અને બોલિવૂડની ટોચની અભિનેત્રીઓ પણ ફસાઈ હોવાના અહેવાલ છે.
સ્ટાર બેડમિન્ટન ખેલાડી પીવી સિંધુની મુશ્કેલી વધી
બે વખતની ઓલિમ્પિક મેડલ વિજેતા પીવી સિંધુ પ્રતિષ્ઠિત ઓલ ઈંગ્લેન્ડ ઓપન માટે બર્મિંગહામ જઈ રહી હતી. દુબઈમાં તેની કનેક્ટિંગ ફ્લાઈટ હતી, પરંતુ મિસાઈલ હુમલાને પગલે તમામ ફ્લાઈટ્સ સ્થગિત કરી દેવામાં આવી હતી. સિંધુએ એરપોર્ટનો વીડિયો શેર કરતા લખ્યું, “આગળની સૂચના સુધી બધી ફ્લાઈટ્સ સ્થગિત.” મંગળવારથી શરૂ થનારી ટૂર્નામેન્ટમાં ભાગ લેવો હવે સિંધુ માટે મોટો પડકાર બની ગયો છે.

સોનલ ચૌહાણે પીએમ મોદી પાસે માંગી મદદ
અભિનેત્રી અને સિંગર સોનલ ચૌહાણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ટેગ કરીને મદદની ગુહાર લગાવી છે. તેણે પોસ્ટમાં લખ્યું કે, “હું દુબઈમાં ફસાયેલી છું, ભારત પરત ફરવાનો કોઈ રસ્તો નથી. હું સરકાર પાસે માર્ગદર્શન અને સહાયની અપેક્ષા રાખું છું.” સોનલની જેમ જ હજારો મુસાફરો એરપોર્ટ પર ખાવા-પીવાની અને રહેવાની સુવિધા વિના પરેશાન થઈ રહ્યા છે.

ઈશા ગુપ્તાએ મિસાઈલના ફોટા શેર કર્યા
અભિનેત્રી ઈશા ગુપ્તાએ પણ દુબઈમાં ફસાયેલી હોવાની માહિતી આપી હતી. તેણે ઈન્સ્ટાગ્રામ પર મિસાઈલનો ફોટો શેર કરતા ફેન્સમાં ચિંતા ફેલાઈ હતી. જોકે, પાછળથી તેણે સ્ટોરી મૂકીને જણાવ્યું કે તે સુરક્ષિત છે, પરંતુ હાલનો સમય અત્યંત ડરામણો છે. ઈશાએ તમામ અસરગ્રસ્ત લોકોની સલામતી માટે પ્રાર્થના કરી છે અને જલ્દી સ્વદેશ પરત ફરવાની આશા વ્યક્ત કરી છે.

મુસાફરો માટે એડવાઈઝરી
દુબઈ એરપોર્ટ વહીવટીતંત્રે કડક સૂચના આપી છે કે મુસાફરોએ હાલ એરપોર્ટ પર ન આવવું. ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે વધતા તણાવને કારણે સમગ્ર એશિયા અને યુરોપ વચ્ચેની હવાઈ કનેક્ટિવિટી ખોરવાઈ ગઈ છે, જેનાથી ભારત પરત ફરતા પ્રવાસીઓની મુશ્કેલીમાં તોતિંગ વધારો થયો છે.
