વડોદરા: રંગોના તહેવાર ધુળેટીના ગણતરીના દિવસો બાકી છે ત્યારે વડોદરાના બજારોમાં આ વખતે કેમિકલયુક્ત રંગોને બદલે ઓર્ગેનિક કલરની બોલબાલા જોવા મળી રહી છે. ચામડીના રોગ અને કેમિકલથી થતી એલર્જી પ્રત્યે વધતી જાગૃતિને કારણે શહેરીજનો હવે આરો લોટ (Arrowroot flour) માંથી બનેલા શુદ્ધ અને સુરક્ષિત રંગોને વધુ પસંદ કરી રહ્યા છે.
વિશાલ ચુનારાનો નવતર પ્રયોગ : 60 ટન કલર તૈયાર
વડોદરાના જાણીતા કલર ઉત્પાદક વિશાલ ચુનારાએ આ વર્ષે ગ્રાહકોની માંગને પહોંચી વળવા માટે અંદાજે 60 ટન જેટલો ઓર્ગેનિક કલર તૈયાર કર્યો છે. અગાઉ કેમિકલવાળા રંગોથી આંખોમાં બળતરા અને ત્વચા પર રેશિઝ થવાની વ્યાપક ફરિયાદો ઉઠતી હતી. આ સમસ્યાના ઉકેલરૂપે તેમણે આરો લોટ અને કુદરતી ઘટકોનો ઉપયોગ કરીને રંગો બનાવવાનું શરૂ કર્યું છે. મહત્વનું છે કે તેઓ છેલ્લા 10 વર્ષથી આરોના લોટમાંથી હોળી માટેની રંગો બનાવવાનું કાર્ય કરી રહ્યા છે. ત્યારે તેમના આ નવગર પ્રયોગને કારણે હોળીમાં રંગો વધુ સુરક્ષિત બની રહેશે.
સુગંધિત અને સુરક્ષિત હોળી
આ ઓર્ગેનિક કલરની ખાસિયત એ છે કે તેમાં માત્ર કુદરતી સામગ્રી જ નહીં, પરંતુ મનને પ્રફુલ્લિત કરી દે તેવું અત્તર પણ ઉમેરવામાં આવ્યું છે. આનાથી શ્રદ્ધાળુઓ અને ખેલૈયાઓને રંગોની સાથે સુગંધનો પણ બેવડો આનંદ મળશે. વિશાલ ચુનારાએ જણાવ્યું હતું કે, “અમે જનતાને અપીલ કરીએ છીએ કે તેઓ ઓર્ગેનિક કલરનો જ આગ્રહ રાખે જેથી તહેવારનો આનંદ બગડે નહીં.”
વર્ષભર ધમધમતો વ્યવસાય
નોંધનીય છે કે કલર બનાવવાનો આ વ્યવસાય માત્ર ધુળેટી પૂરતો મર્યાદિત નથી. વડોદરામાં લગ્ન પ્રસંગોમાં થતો ગુલાલનો ઉપયોગ, ગણેશ મહોત્સવ અને અન્ય સામાજિક ઉત્સવોને કારણે વર્ષભર આ ઉદ્યોગ ધમધમતો રહે છે. જોકે, ધુળેટી સમયે તેની માંગ ચરમસીમાએ હોય છે. આ વખતે ઓર્ગેનિક કલરની માંગમાં થયેલો તોતિંગ વધારો વડોદરાના વેપારીઓ માટે આર્થિક રીતે સારો સંકેત માનવામાં આવી રહ્યો છે.
