વડોદરા: સંસ્કારી નગરી વડોદરામાં રખડતા ઢોરોનો ત્રાસ ઓછો થવાનું નામ નથી લઈ રહ્યો. શહેરના અનેક વિસ્તારોમાં રખડતા ઢોર અકસ્માત અને જીવલેણ હુમલાના કારણ બની રહ્યા છે. આવી જ એક ચોંકાવનારી ઘટના આજરોજ ખોડીયાર નગર વિસ્તારમાં બની હતી. જ્યાં પંચમ ઇલાઇટ સોસાયટી પાસે એક ગાયે અચાનક આતંક મચાવતા બે રાહદારીઓને પોતાની અડફેટે લીધા હતા. ગાય એટલી હિંસક બની હતી કે તેણે રાહદારીઓને શીંગડે ભેરવીને હવામાં ઉછાળ્યા હતા, જેને પગલે સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી.
વિનુભાઈ ડાભીને ગંભીર ઇજાઓ, 108 મારફતે હોસ્પિટલ ખસેડાયા
આ હુમલામાં માણેજા વોલ્ટેમ કંપનીની સામે આવેલ ગાયત્રી નગરમાં રહેતા વિનુભાઈ ડાભીને ગંભીર ઇજાઓ પહોંચી હતી. સ્થાનિકોએ ભેગા થઈને ગાયને દૂર કરી વિનુભાઈનો જીવ બચાવ્યો હતો. બનાવની જાણ થતા જ 108 એમ્બ્યુલન્સ મારફતે ઇજાગ્રસ્ત વિનુભાઈને તાત્કાલિક સયાજી (SSG) હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. આ હુમલામાં અન્ય એક યુવક પણ ઇજાગ્રસ્ત થયો હતો, જેને નજીકની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યો છે. ઇજાગ્રસ્તના પત્ની નીતાબેન ડાભીએ આ ઘટના અંગે ભારે આક્રોશ વ્યક્ત કર્યો હતો.
તંત્રની કામગીરી પર ઉઠ્યા સવાલો
રખડતા ઢોરો પર અંકુશ લાવવા માટે વડોદરા મહાનગરપાલિકાની ‘ઢોર પાર્ટી’ દ્વારા કામગીરીના દાવાઓ કરવામાં આવે છે, પરંતુ વાસ્તવિકતા કાંઈક અલગ જ જોવા મળી રહી છે. સામાજિક કાર્યકર્તાઓ અને સ્થાનિક રહીશોએ તંત્રની આ ઢીલી નીતિ સામે સવાલો ઉઠાવ્યા છે. જો ઢોર પાર્ટી સક્રિય હોય તો વારંવાર આવી ઘટનાઓ કેમ બને છે? ગાયના કારણે વાહન ચાલક અને રાહદારીઓ જે રીતે ઇજાગ્રસ્ત થઈ રહ્યા છે તે જોતા વડોદરામાં રખડતા ઢોરની સમસ્યા હવે જટિલ બની ગઈ છે. સ્થાનિકોની માંગ છે કે મનપા તંત્ર માત્ર કાગળ પર નહીં પણ રસ્તા પર કડક કામગીરી કરે.
