ગુજરાત પોલીસ દ્વારા નાસતા-ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે શરૂ કરવામાં આવેલા ‘ઓપરેશન કારાવાસ’ અંતર્ગત સુરત શહેરની સચિન પોલીસને એક મોટી સફળતા મળી છે. પત્નીની હત્યાના કેસમાં આજીવન કેદની સજા ભોગવતો અને છેલ્લા ૯ વર્ષથી પેરોલ જમ્પ કરી ફરાર થયેલો આરોપી આખરે પોલીસના સકંજામાં આવ્યો છે. ૪૨ વર્ષીય આરોપી સુરેન્દ્ર કલ્લુ પ્રસાદ વર્માને પોલીસે હરિયાણા ખાતેથી ઝડપી પાડ્યો છે.
શું હતો સમગ્ર મામલો?
આરોપી સુરેન્દ્ર વર્માએ વર્ષ ૨૦૦૭માં પોતાની જ પત્નીની ઘાતકી હત્યા કરી હતી. આ મામલે સુરતના સચિન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયા બાદ તેની ધરપકડ કરવામાં આવી હતી. કોર્ટમાં કેસ ચાલ્યા બાદ આરોપીને પત્નીની હત્યાના ગુનામાં આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી.
સજા દરમિયાન, વર્ષ ૨૦૧૬માં આરોપી સુરેન્દ્ર જેલમાંથી પેરોલ રજા પર છૂટ્યો હતો. જોકે, પેરોલની સમય મર્યાદા પૂર્ણ થયા બાદ તેણે જેલમાં હાજર થવાને બદલે ફરાર થવાનું નક્કી કર્યું હતું. છેલ્લા ૯ વર્ષથી તે પોલીસને થાપ આપીને અલગ-અલગ રાજ્યોમાં છુપાઈને રહેતો હતો.
પોલીસે વેશ પલટો કરી હરિયાણામાં ગોઠવી જાળ
સુરત પોલીસને બાતમી મળી હતી કે આરોપી હરિયાણામાં છુપાયેલો છે. આથી સચિન પોલીસની એક ટીમ હરિયાણા પહોંચી હતી. આરોપી પોલીસને ઓળખી ન જાય તે માટે પોલીસ કર્મચારીઓએ વેશ પલટો કર્યો હતો અને સતત વોચ ગોઠવી હતી. આખરે ચોક્કસ લોકેશન મળતા પોલીસે સુરેન્દ્ર વર્માને દબોચી લીધો હતો.
હાલમાં સચિન પોલીસ આ આરોપીને સુરત લાવી છે અને તેને ફરીથી જેલના સળિયા પાછળ ધકેલવા માટેની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ૯ વર્ષ જેટલા લાંબા સમય બાદ આજીવન કેદના કેદીને પકડવામાં સુરત પોલીસને મળેલી આ સફળતા સરાહનીય છે.
