વડોદરા / કરજણ: રાજ્યભરમાં ભારે ચકચાર મચાવનારા કરજણના બહુચર્ચિત સ્વીટી પટેલ હત્યા કેસ (Sweety Patel Murder Case) માં કરજણની એડિશનલ સેશન્સ કોર્ટે ચુકાદો આપ્યો છે. કરજણ કોર્ટે વડોદરા ગ્રામ્ય SOG ના પૂર્વ પોલીસ ઇન્સ્પેક્ટર (PI) અજય દેસાઈને આજીવન કેદની સજા સંભળાવી છે. આ ઉપરાંત, હત્યા બાદ સ્વીટી પટેલના મૃતદેહનો નિકાલ કરવામાં અને પુરાવાનો નાશ કરવામાં મદદ કરનાર તેના સાગરીત કિરિટસિંહ જાડેજાને ૫ વર્ષની જેલની સજા સજા ફટકારવામાં આવી છે. કોર્ટે બંને ગુનેગારો પર રૂ. ૨-૨ લાખનો દંડ પણ ફટકાર્યો છે.
પત્નીને છૂટાછેડા આપવાના દબાણથી કરી હત્યા
તપાસ અધિકારીઓના રિપોર્ટ મુજબ, ૩૭ વર્ષીય સ્વીટી પટેલ જૂન ૨૦૨૧ માં કરજણ ખાતેથી ભેદી સંજોગોમાં ગુમ થઈ ગયા હતા. તેઓ અને અજય દેસાઈ લીવ-ઈન સંબંધમાં રહેતા હતા અને બંનેને ૨ વર્ષનું બાળક પણ હતું. અજય દેસાઈ પરિણિત હોવાથી સ્વીટી પટેલ સતત તેના પર પ્રથમ પત્ની પૂજાને છૂટાછેડા આપીને પોતાની સાથે વિધિવત લગ્ન કરવાનું દબાણ કરતી હતી. આ તકરાર વધી જતાં અજય દેસાઈએ મોડી રાત્રે સ્વીટીનું ગળું દબાવીને ટૂંપો આપી હત્યા કરી દીધી હતી.
૪૫ દિવસ બાદ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ઉકેલ્યો હતો ભેદ
સ્વીટી પટેલ ગુમ થયા બાદ તેમના ભાઈ જયદીપ પટેલે કરજણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પરંતુ વડોદરા ગ્રામ્ય પોલીસે શરૂઆતમાં ૪૫ દિવસ સુધી કોઈ નક્કર તપાસ કરી ન હતી. ત્યારબાદ ગુજરાત રાજ્ય પોલીસ મહાનિર્દેશક (DGP) ના આદેશથી ૧૮ જુલાઈ ૨૦૨૧ ના રોજ આ કેસની તપાસ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ ને સોંપવામાં આવી હતી.
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે તપાસ સંભાળ્યાના ગણતરીના ૩ દિવસમાં જ સમગ્ર ષડયંત્ર પરથી પડદો ઊંચક્યો હતો:
- મૃતદેહ સળગાવી દીધો: અજય દેસાઈ સ્વીટીના મૃતદેહને કારની ડીકીમાં મૂકી ભરૂચ જિલ્લાના દહેજ નજીક આવેલા અટાલી ગામે લઈ ગયો હતો.
- સાગરીતની મદદ: અટાલી ગામે કિરિટસિંહ જાડેજાની મદદથી એક ત્યજી દેવાયેલી હોટેલના પરિસરમાં મૃતદેહને સળગાવીને પુરાવાનો નાશ કરવાનો પ્રયાસ કરાયો હતો.
- ડિજિટલ પુરાવા: ક્રાઇમ બ્રાન્ચે અજય દેસાઈ અને કિરિટસિંહ જાડેજાના મોબાઈલ લોકેશન ઘટનાના દિવસે અટાલી ગામમાં જ હોવાના ટેકનિકલ પુરાવા એકત્ર કરી બંનેની ધરપકડ કરી હતી.
સરકારી વકીલની ધારદાર દલીલો અને આકરી સજા
અદાલતમાં સરકારી વકીલ રમેશ જ્ઞાનચંદાનીએ દલીલ કરી હતી કે અજય દેસાઈ પોતે કાયદાનો રક્ષક અને પોલીસ અધિકારી હોવા છતાં તેણે અત્યંત ક્રૂર અને ઘાતકી ગુનો આચર્યો છે, તેથી તેને સખતમાં સખત સજા થવી જોઈએ. નામદાર કોર્ટે તમામ મૌખિક અને સાયન્ટિફિક પુરાવાઓને ધ્યાને રાખી અજય દેસાઈને આજીવન કારાવાસ અને સાગરીત કિરિટસિંહને ૫ વર્ષની સખત કેદની સજા ફટકારી ન્યાય આપ્યો છે.
