ગાંધીનગર: આજે ‘વિશ્વ થેલેસેમિયા દિવસ’ નિમિત્તે ગુજરાત સરકારે રાજ્યને આ ગંભીર બીમારીથી મુક્ત કરવાનો દ્રઢ નિર્ધાર વ્યક્ત કર્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ અને આરોગ્ય રાજ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાના નેતૃત્વમાં રાજ્યવ્યાપી જનજાગૃતિ અભિયાન તેજ કરવામાં આવ્યું છે. મંત્રી પાનશેરીયાએ જણાવ્યું હતું કે, રાજ્યની તમામ મેડિકલ કોલેજ હોસ્પિટલો અને સિવિલ હોસ્પિટલોમાં સગર્ભા મહિલાઓ અને યુવાનો માટે થેલેસેમિયા ટેસ્ટિંગની સુવિધા સંપૂર્ણપણે વિનામૂલ્યે ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

થેલેસેમિયા શું છે અને તેના પ્રકારો?
થેલેસેમિયા એ લોહીમાં થતી એક વંશાનુક્રમિક (આનુવંશિક) ખામી છે, જેમાં શરીરમાં પૂરતા પ્રમાણમાં હિમોગ્લોબિન અને લાલ રક્તકણો બનતા નથી. તેના મુખ્ય બે પ્રકાર છે:
- થેલેસેમિયા માઇનર (કેરિયર): આ વ્યક્તિ સ્વસ્થ દેખાય છે અને તેને કોઈ ખાસ લક્ષણો હોતા નથી, પરંતુ તે વારસાગત રીતે આ બીમારી આગળ વધારી શકે છે.
- થેલેસેમિયા મેજર: આ ગંભીર સ્થિતિ છે, જેમાં બાળકને જન્મના થોડા સમય બાદથી જ જીવનભર નિયમિત રીતે લોહી ચડાવવું (Blood Transfusion) પડે છે.
રાજ્યમાં સારવારનું સુદ્રઢ નેટવર્ક
રાજ્ય સરકાર દ્વારા થેલેસેમિયાના દર્દીઓ માટે ‘ડે-કેર સેન્ટર્સ’ અને બ્લડ બેંકોનું મજબૂત નેટવર્ક ઉભું કરાયું છે. દર્દીઓ માટે જરૂરી ‘ડેફેરાસિરોક્સ’ ટેબ્લેટ અને ‘ડિફેરોક્સામિન’ ઇન્જેક્શનની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે. રાજ્યની મુખ્ય હોસ્પિટલોમાં મોટી સંખ્યામાં દર્દીઓ સારવાર લઈ રહ્યા છે, જેમાં રાજકોટની પી.ડી.યુ. હોસ્પિટલ (484 દર્દીઓ) અને જામનગરની જી.જી. હોસ્પિટલ (370 દર્દીઓ) મોખરે છે.
યુવાનો અને સગર્ભા મહિલાઓને અપીલ
આરોગ્ય વિભાગ દ્વારા કિશોરો અને સગર્ભા સ્ત્રીઓ પર વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. મંત્રી પ્રફુલ પાનશેરીયાએ અપીલ કરી છે કે ‘થેલેસેમિયા મેજર’ બાળકના જન્મને અટકાવવા માટે લગ્ન પહેલાં અથવા ગર્ભાવસ્થાની શરૂઆતમાં સી.બી.સી. (CBC) ટેસ્ટ દ્વારા સ્ક્રીનિંગ કરાવવું જોઈએ. આશા વર્કર્સ અને આરોગ્યકર્મીઓ દ્વારા ગામડે-ગામડે શેરી નાટકો અને સેમિનાર યોજીને લોકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે.
