વડોદરા જિલ્લામાં તાજેતરમાં પડેલા કમોસમી વરસાદ (માવઠા)ના કારણે ખેડૂતોને થયેલા પાક નુકસાનનો તાગ મેળવવા માટે જિલ્લા પ્રશાસન દ્વારા યુદ્ધના ધોરણે સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી, જે હવે પૂર્ણ થઈ ચૂકી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની તત્કાલીક સૂચનાને પગલે, જિલ્લા પ્રશાસન સક્રિય બન્યું હતું અને આ માટે ૧૦૭ જેટલી વિશેષ ટીમોનું ગઠન કરવામાં આવ્યું હતું.
ઝડપી સર્વે માટે ૧૦૭ ટીમોનું ગઠન
ખેડૂતોના માથે આવી પડેલી આપત્તિના સમયે મુખ્યમંત્રીની સૂચનાથી ખેતીવાડી ખાતા દ્વારા સર્વેની કામગીરી ઝડપથી શરૂ કરવામાં આવી હતી.
- જિલ્લા કલેક્ટર ડો. અનિલ ધામેલિયા અને જિલ્લા વિકાસ અધિકારી મમતા હિરપરાએ ઉક્ત ૧૦૭ ટીમોની રચના કરીને તમામને ફિલ્ડમાં ઉતાર્યા હતા.
- આ સર્વે ટીમોમાં ખેતીવાડી ખાતાના અધિકારીઓ ઉપરાંત તલાટી મંત્રી અને વિસ્તરણ અધિકારીનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો, જેથી ખેતરોમાં જઈને પાકને થયેલી નુકસાનીનું સચોટ નિરીક્ષણ કરી શકાય.
કયા પાકોને થયું નુકસાન?
જિલ્લા ખેતીવાડી અધિકારી નીતિન વસાવાએ જણાવ્યું હતું કે, કમૌસમી વરસાદના પરિણામે વડોદરા જિલ્લામાં મુખ્યત્વે ડાંગર, સોયાબીન, મગફળી અને કપાસ સહિતના પાકોને નુકસાન થયું છે.
- સર્વેમાં એવું ધ્યાને આવ્યું છે કે કાપણીના તબક્કે રહેલા ડાંગર અને મગફળીના પાકોના પાથરા ખેતરોમાં પડ્યા હોવાથી તેમાં જ અંકુર ફૂટી નીકળ્યા (ઉગી ગયા) છે, જેના કારણે ખેડૂતોને મોટું નુકસાન થયું છે. કપાસ અને અન્ય પાકોમાં પણ આવી જ સ્થિતિ જણાઇ છે.
- નીતિન વસાવાએ સુખલીપુરા ગામના કેટલાક ખેડૂતોની મુલાકાત પણ લીધી હતી, જ્યાં કાપેલી ડાંગરના ડુંડા જ ઉગી નીકળ્યા હોવાનું સ્પષ્ટ જોવા મળ્યું હતું.
જિલ્લાના ૪૦૬ ગામોમાં રોજકામ પૂર્ણ
વડોદરા જિલ્લાના તમામ ગામોને આ સર્વે હેઠળ આવરી લેવામાં આવ્યા હતા. તારીખ ૩ની સ્થિતિએ કુલ ૪૦૬ ગામોમાં રોજકામ કરવાની કામગીરી પૂર્ણ થઈ છે, જેની તાલુકાવાર વિગતો નીચે મુજબ છે:
| તાલુકો | સર્વે પૂર્ણ થયેલા ગામોની સંખ્યા |
| ડભોઇ | ૭૫ |
| ડેસર | ૨૮ |
| કરજણ | ૫૧ |
| પાદરા | ૫૮ |
| સાવલી | ૫૭ |
| શિનોર | ૩૦ |
| વડોદરા | ૫૧ |
| વાઘોડિયા | ૫૬ |
| કુલ | ૪૦૬ |
ખેડૂતોની અપેક્ષા:
સુખલીપુરા ગામના સરપંચ નવનીત પરમારે જણાવ્યું હતું કે મુખ્યમંત્રી દ્વારા તત્કાલીક સર્વેના આદેશોથી ખેડૂતોને રાહત મળી છે, અને હવે તેઓ રાજ્ય સરકાર દ્વારા તત્કાલ પેકેજ જાહેર કરવામાં આવે એવી અપેક્ષા રાખી રહ્યા છે. ખેડૂત નરેન્દ્ર પટેલે પણ ખેતીવાડી વિભાગની ટીમો ઝડપથી આવી તે બાબતને સરાહનીય ગણાવી હતી.
