વડોદરા શહેરમાં વરસાદની સિઝન સમાપ્ત થયા બાદ પણ રસ્તાઓ પર ભૂવા પડવાની ઘટનાઓ યથાવત્ રહેતાં મ્યુનિસિપલ કોર્પોરેશનના કામકાજ પર ગંભીર સવાલો ઊભા થયા છે. આજે શહેરના વ્યસ્ત અકોટા-મુજમહુડા માર્ગ પર અચાનક એક ૧૦ ફૂટ પહોળો વિશાળ ભૂવો પડતાં તંત્રમાં દોડધામ મચી ગઈ હતી.
વગર વરસાદે આટલો મોટો મહાકાય ભૂવો પડવાના કારણે તાત્કાલિક અસરથી માર્ગ પર અફરાતફરી સર્જાઈ હતી. દુર્ઘટના ટાળવા માટે તાત્કાલિક બેરિકેડ્સ લગાવીને એક તરફનો વાહનવ્યવહાર બંધ કરવાની ફરજ પડી હતી.
પાણીકા તંત્રની કામગીરી અને ડાયવર્ઝન:
ભૂવો પડવાની જાણ થતાં જ વડોદરા મહાનગરપાલિકાનું તંત્ર ઘટનાસ્થળે દોડી આવ્યું હતું. પાલિકા તંત્રએ આ ભૂવાને કોર્ડન કરવા માટે ડાયવર્ઝનના પાટિયાં મૂકીને અને પડદા ઢાંકીને ભૂવાને સુરક્ષિત કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, શહેરના મુખ્ય માર્ગ પર પડેલા આ ભૂવાના કારણે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
વિપક્ષના ગંભીર આક્ષેપો:
આ ઘટના બાદ વિપક્ષે પાલિકાના કામકાજ પર આકરા પ્રહારો કર્યા છે. વોર્ડ-૧૨ના કોંગ્રેસના અગ્રણી રાકેશ ઠાકોર સ્થળ પર પહોંચ્યા હતા અને પાલિકા તંત્ર પર ગંભીર આક્ષેપો કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, “છેલ્લા એક વર્ષમાં માત્ર અકોટા રોડ પર જ અસંખ્ય ભૂવા પડ્યા હોવા છતાં પાલિકા દ્વારા ઇજારદાર સામે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી.”
રાકેશ ઠાકોરે આક્રોશ વ્યક્ત કરતા વધુમાં કહ્યું કે, “વારંવાર ભૂવાઓ પડવાનું ચોક્કસ કારણ શોધવામાં પાલિકા તંત્ર સંપૂર્ણપણે નિષ્ફળ ગયું છે.” તેમણે આક્ષેપ કર્યો કે નબળી ગુણવત્તાના કામ અને દેખરેખના અભાવને કારણે જ નાગરિકોને સતત મુશ્કેલી વેઠવી પડે છે. આ ઘટનાએ ફરી એકવાર શહેરના રોડ-રસ્તાઓની ગુણવત્તા પર સવાલ ઊભો કર્યો છે.
