વડોદરા શહેર આજે ૧૭મા રોજગાર મેળાનું યજમાન બન્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ રાષ્ટ્રવ્યાપી કાર્યક્રમમાં વર્ચ્યુઅલી જોડાયા હતા, જ્યારે કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાની વિશેષ ઉપસ્થિતિમાં ઉમેદવારોને નિમણૂક પત્રો એનાયત કરવામાં આવ્યા હતા. આ રોજગાર મેળામાં વડોદરાના ૮૬ ઉમેદવારોને રોજગારના અવસર મળ્યા હતા.
દેશભરમાં આજે ૪૦ સ્થળોએ એકસાથે રોજગાર મેળા યોજાયા, જેમાં કુલ ૫૧ હજારથી વધુ ઉમેદવારોને નિમણૂક પત્રો આપવામાં આવ્યા હતા.
વડોદરા સાથે પ્રાચીન સંબંધ અને ગાયકવાડની ધરતી:
કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ પોતાના સંબોધનમાં વડોદરા સાથેના તેમના પ્રાચીન સંબંધોનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે યાદ અપાવ્યું કે, શિવાજી મહારાજના સમયમાં શિંદે (સિંધિયા), ગાયકવાડ અને હોલકર, આ ત્રણ મરાઠા પરિવારોએ એકસાથે મળીને વિદેશી આક્રમણકારો સામે લડત આપી હતી. ગાયકવાડની આ ઐતિહાસિક ધરતી પર આવવાનો તેમણે આનંદ વ્યક્ત કર્યો હતો.
૨૦૪૭માં ભારતને અગ્રેસર બનાવવાનું વિઝન:
સિંધિયાએ વડાપ્રધાન મોદીના વર્ષ ૨૦૪૭માં ભારતને વિશ્વમાં અગ્રેસર બનાવવાનો સંકલ્પ રજૂ કર્યો હતો. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, દેશના યુવાનો આ પરિવર્તનના મુખ્ય શક્તિસ્ત્રોત છે. રોજગાર મેળા જેવા કાર્યક્રમો દ્વારા સરકાર યુવાનોના કૌશલ્યને યોગ્ય દિશા આપીને આ વિઝન સાકાર કરી રહી છે.
ટેલિકોમ ક્ષેત્રે આત્મનિર્ભરતા:
કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ ટેલિકોમ ક્ષેત્ર અંગે પણ મહત્ત્વપૂર્ણ નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું કે, ભારત સરકારે વિદેશી સાધનો ખરીદવાના બદલે આત્મનિર્ભરતાનો માર્ગ અપનાવ્યો છે. હાલ દેશમાં સ્વદેશી 4G ટેક્નોલોજી સફળતાપૂર્વક ચાલી રહી છે અને ટૂંક સમયમાં ૧ લાખથી વધુ ટાવર દ્વારા 5Gમાં પરિવર્તન થશે.
બિહાર ચૂંટણી પર નિવેદન:
રાજકીય મોરચે, સિંધિયાએ બિહાર ચૂંટણી અંગે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે NDA પૂર્ણ બહુમતી સાથે સરકાર બનાવશે અને જનતા દ્વારા મહાગઠબંધનને નકારી કાઢવામાં આવશે.
