વડોદરા: સમગ્ર દેશમાં દશેરાના પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે વડોદરા શહેરમાં વરસાદના વિઘ્નને કારણે ઉજવણીના ઉત્સાહમાં નિરાશા છવાઈ છે. શહેરના પ્રખ્યાત પોલો ગ્રાઉન્ડ ખાતે છેલ્લા ૪૫ વર્ષથી ઉત્તરભારત સાંસ્કૃતિક સંઘ દ્વારા પરંપરાગત રીતે યોજાતી રામલીલા અને રાવણ દહનનો કાર્યક્રમ ભારે વરસાદના કારણે રદ્દ કરવો પડ્યો છે.
દશેરાના એક દિવસ અગાઉ સુધી પોલો ગ્રાઉન્ડ ખાતે ઉત્તરભારત સાંસ્કૃતિક સંઘ દ્વારા ૪૫માં વર્ષની રામલીલા અને રાવણ દહન માટેની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો હતો. આયોજકો દ્વારા રાવણના વિશાળ પૂતળાને વરસાદથી બચાવવા માટે વિશેષ વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી હતી, પરંતુ અણધાર્યા અને સતત વરસાદને કારણે ગ્રાઉન્ડમાં મોટા પ્રમાણમાં પાણી ભરાઈ જતાં સમગ્ર આયોજન મુલતવી રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
આયોજકોએ જણાવ્યું કે, ગ્રાઉન્ડ પર પાણી ભરાઈ જવાથી રામલીલાનું મંચન કરવું તેમજ રાવણ દહન માટે જરૂરી સલામતી જાળવવી શક્ય નહોતું. લોકોની સલામતી અને સુવિધાને ધ્યાનમાં રાખીને આ ઐતિહાસિક કાર્યક્રમ રદ્દ કરવાની ફરજ પડી છે.
જોકે, આયોજકોએ શહેરના લોકોને નિરાશ ન થવા અપીલ કરી છે. તેમણે જાહેરાત કરી છે કે, જો આવતીકાલે (દશેરાના દિવસે) વડોદરામાં વરસાદ નહીં હોય અને ગ્રાઉન્ડમાંથી પાણી ઉતરી જશે, તો ૪૫ વર્ષની આ પરંપરાને જાળવવા માટે ફરીથી રાવણ દહનનો કાર્યક્રમ યોજવામાં આવશે.
વડોદરામાં દશેરાની ઉજવણીનું આ પોલો ગ્રાઉન્ડનું આયોજન સાંસ્કૃતિક અને ધાર્મિક મહત્વ ધરાવે છે, અને શહેરના મોટી સંખ્યામાં લોકો આ કાર્યક્રમમાં ભાગ લેવા આવતા હોય છે. વરસાદને કારણે કાર્યક્રમ રદ્દ થવાથી સ્થાનિકોમાં અને ખેલૈયાઓમાં નિરાશા છવાઈ છે, પરંતુ બધા આશા રાખી રહ્યા છે કે આવતીકાલે વાતાવરણ સાફ થઈ જશે અને રાવણ દહનનો કાર્યક્રમ યોજી શકાશે.
