વેરાવળ: ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના વાવડી-આદ્રી ગામે ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં ‘વિકાસ સંકલ્પ સભા’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ સભામાં ભાજપા ઉમેદવારોના સમર્થનમાં ઉમટી પડેલી વિશાળ જનમેદનીને સંબોધતા વિશ્વકર્માએ કોંગ્રેસની જ્ઞાતિવાદની રાજનીતિ પર આકરા પ્રહારો કર્યા હતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિકાસવાદના વિઝનને બિરદાવ્યો હતો.
કોંગ્રેસની નિષ્ક્રિયતા અને ભાજપાનો વિકાસવાદ
જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું કે, “કોંગ્રેસના સમયમાં રાજકારણ પ્રાંતવાદ અને જ્ઞાતિવાદમાં અટવાયેલું હતું, જ્યારે મોદીજીએ વિકાસને કેન્દ્રસ્થાને રાખ્યો છે.” તેમણે વેરાવળના વિકાસ મુદ્દે સ્થાનિક કોંગ્રેસ ધારાસભ્યની નિષ્ક્રિયતા પર સવાલ ઉઠાવતા કહ્યું કે, આજે વેરાવળમાં જે પણ પ્રગતિ દેખાય છે તે ભાજપના જાગૃત સંગઠન અને સાંસદની સક્રિયતાને આભારી છે.
પાણી, વીજળી અને ખેડૂત હિતના કાર્યો
ભાજપ શાસનની સિદ્ધિઓ ગણાવતા તેમણે કહ્યું, અગાઉ ગાંધીનગરથી ટ્રેન દ્વારા પાણી મોકલવું પડતું હતું, આજે ‘સૌની યોજના’ થકી નળ ખોલતા જ શુદ્ધ પાણી ઉપલબ્ધ છે. રાત્રે જમવાના સમયે પણ વીજળી માટે તરસતા લોકો માટે હવે સાતત્યપૂર્ણ વીજ પુરવઠો સુનિશ્ચિત કરાયો છે. કિસાન સન્માન નિધિ અને અતિવૃષ્ટિ સમયે જાહેર કરાયેલ ₹10,000 કરોડના ઐતિહાસિક પેકેજ દ્વારા ખેડૂતોને આર્થિક ટેકો આપ્યો છે.
સાંસ્કૃતિક પુનરુત્થાન અને કોસ્ટલ હાઈવે
જગદીશ વિશ્વકર્માએ સોમનાથ કોરિડોર, પાવાગઢમાં 450 વર્ષ બાદ ધ્વજારોહણ અને ભવ્ય રામમંદિરના નિર્માણને સાંસ્કૃતિક વિકાસના સ્તંભ ગણાવ્યા હતા. વધુમાં તેમણે ઉમેર્યું કે, નિર્માણ પામનાર કોસ્ટલ હાઈવેથી કનેક્ટિવિટી વધશે અને ગીર સોમનાથના દરિયાકાંઠાના વિકાસને નવી દિશા મળશે.
કોંગ્રેસમાં મોટું ગાબડું: નેતાઓનો ભાજપમાં પ્રવેશ
સભાનો સૌથી મહત્વનો વળાંક ત્યારે આવ્યો જ્યારે ખારવા સમાજના અગ્રણી અને કોંગ્રેસના નેતા લલિત લખમભાઈ તેમજ પૂર્વ તાલુકા પંચાયત નેતા પરબત મેરુભાઈ સોલંકીએ પોતાના સેંકડો સમર્થકો સાથે ભાજપાનો ખેસ ધારણ કર્યો હતો. આ પ્રસંગે પ્રદેશ બક્ષીપંચ મોરચાના પ્રમુખ માનસિંહ પરમાર અને જિલ્લા પ્રમુખ સંજય પરમાર સહિતના આગેવાનો હાજર રહ્યા હતા.
