વડોદરા: ભારત સરકાર દ્વારા હાથ ધરવામાં આવનાર રાષ્ટ્રીય જનગણના (વસ્તીગણતરી) પ્રક્રિયા અંતર્ગત ગુજરાતમાં ‘સ્વ-ગણના’ (સેલ્ફ એન્યુમરેશન) પોર્ટલ કાર્યરત થઈ ગયું છે. વડોદરા જિલ્લા કલેક્ટર અનિલ ધામેલીયાએ આ મહત્વપૂર્ણ રાષ્ટ્રીય કાર્યમાં જિલ્લાના તમામ નાગરિકોને સક્રિયપણે સહભાગી થવા અને આગામી દિવસોમાં ઘરે આવનારા ગણતરીદારોને સંપૂર્ણ સહયોગ આપવા ખાસ અપીલ કરી છે. આ કામગીરીને સુચારૂ રૂપે સંપન્ન કરવા માટે વડોદરા જિલ્લામાં ૨૫૦૦થી વધુ લોકોના સ્ટાફની નિમણૂક કરવામાં આવી છે.
પોર્ટલ પર ગુજરાતી ભાષામાં પણ વિગતો ભરવાની સુવિધા
જિલ્લા કલેક્ટર અનિલ ધામેલીયાએ પોતે આ પોર્ટલનો ઉપયોગ કરીને એક પ્રેરણાદાયી સંદેશ આપ્યો છે. તેમણે જણાવ્યું હતું કે, “સ્વ-ગણના પોર્ટલ પર વિગતો ભરવી ખૂબ જ સરળ છે. મેં પોતે પણ મારા પરિવારની વિગતો સરળતાથી ઓનલાઈન ભરી દીધી છે. સૌથી મહત્વની વાત એ છે કે કોઈપણ નાગરિક અંગ્રેજી ઉપરાંત આપણી માતૃભાષા ગુજરાતીમાં પણ તમામ વિગતો ખૂબ જ સરળતાથી ભરી શકે છે.”
સેલ્ફ એન્યુમરેશન અને ‘H’ કોડની પ્રક્રિયા
વસ્તીગણતરી અંતર્ગત દેશમાં પ્રથમવાર શરૂ કરાયેલી આ સ્વ-ગણના પ્રક્રિયા તા. ૧૭ મે થી ૩૧ મે, ૨૦૨૬ સુધી ચાલશે.
- નાગરિકોએ સત્તાવાર પોર્ટલ se.census.gov.in પર જઈને પોતાનું નામ, મોબાઈલ નંબર અને ઓ.ટી.પી. (OTP) દાખલ કરવાનો રહેશે.
- વિવિધ જરૂરી વિગતોની એન્ટ્રી કર્યા બાદ સિસ્ટમ દ્વારા અંગ્રેજી અક્ષર ‘H’ થી શરૂ થતો ૧૧ અંકોનો એક વિશિષ્ટ કોડ (SE ID) જનરેટ થશે, જેને નાગરિકોએ સાચવી રાખવાનો રહેશે.
૧ જૂનથી શરૂ થશે ‘હાઉસ લિસ્ટિંગ ઓપરેશન’
ઓનલાઈન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ, તા. ૧ થી ૩૦ જૂન, ૨૦૨૬ દરમિયાન સમગ્ર વડોદરા જિલ્લામાં ‘હાઉસ લિસ્ટિંગ ઓપરેશન’ (H.L.O.) હાથ ધરવામાં આવશે. આ સમયગાળા દરમિયાન જનગણનાના કર્મચારીઓ ઘરે-ઘરે જઈને માહિતી એકત્રિત કરશે. જે નાગરિકોએ ઓનલાઈન ફોર્મ ભર્યું હશે, તેમણે ઘરની મુલાકાત લેનાર ગણતરીદારને માત્ર પોતાનો ૧૧ અંકોનો ‘SE ID’ આપવાનો રહેશે.
માહિતી સંપૂર્ણપણે ગોપનીય રહેશે
કલેક્ટરએ નાગરિકોને સાચી અને સંપૂર્ણ માહિતી આપવા અનુરોધ કરતા પાયાની બાબત સ્પષ્ટ કરી હતી કે, જનગણના અંતર્ગત પ્રાપ્ત થતી તમામ વિગતો ‘જનગણના અધિનિયમ’ મુજબ સંપૂર્ણપણે ગોપનીય (Confidential) રાખવામાં આવે છે. આ માહિતીનો ઉપયોગ કોઈ અન્ય હેતુ માટે નહીં, પરંતુ માત્ર આંકડાકીય અને ભવિષ્યની વિવિધ કલ્યાણકારી યોજનાઓ તથા વિકાસકાર્યોના આયોજન માટે જ કરવામાં આવે છે. વહીવટીતંત્રે વસ્તીગણતરી-૨૦૨૭ને સફળ બનાવવા માટે નાગરિકોના સક્રિય યોગદાનની અપેક્ષા વ્યક્ત કરી છે.
