અમદાવાદ: ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા નાયબ મુખ્યમંત્રી અને પરિવહન મંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ મુસાફરો માટે બે મોટા અને મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. રાજ્યમાં નવનિર્મિત ‘અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ હાઇવે’ અને ‘દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઇવે’ નો ઉપયોગ કરીને મુસાફરોની સફર વધુ ઝડપી, આરામદાયક અને સસ્તી બનાવવામાં આવી છે.
અમદાવાદ-ભાવનગર રૂટ પર ભાડામાં ઘટાડો
નવીન વ્યવસ્થા અનુસાર, અમદાવાદથી ભાવનગર વચ્ચે દોડતી તમામ પ્રીમીયમ એસી બસો હવે ‘અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ હાઇવે’ પરથી પસાર થશે. અમદાવાદ અને ભાવનગર બંને તરફથી દૈનિક ધોરણે સવારે ૫:૦૦ વાગ્યાથી સાંજે ૬:૦૦ વાગ્યા સુધી દર કલાકે ઉપડતી કુલ ૨૪ ટ્રીપો આ નવા રૂટ પર ડાયવર્ટ કરાશે. આ ઉપરાંત ગાંધીનગર-દીવ અને ગાંધીનગર-મહુવા રૂટની પ્રીમિયમ બસો પણ આ જ હાઇવેનો ઉપયોગ કરશે. ઉલ્લેખનીય છે કે નવો હાઇવે ટૂંકો હોવાના કારણે હવે મુસાફરોને અંદાજે ₹૧૫ના ભાડા ઘટાડાનો લાભ મળશે અને નવું ભાડું ₹૩૩૬ નિયત કરવામાં આવ્યું છે.
ગુજરાત એસ.ટી.ના મુસાફરો માટે આનંદના સમાચાર ! 🚌
ધોલેરા અને મુંબઈ – દિલ્હીના નવા એક્સપ્રેસ હાઈવે પર ચાલતા ગુજરાત એસ.ટી.ના અમદાવાદ – ભાવનગર – અમદાવાદ અને અમદાવાદ – સુરત – અમદાવાદ રૂટથી મુસાફરી વધુ સસ્તી અને ઝડપી બની છે. pic.twitter.com/NYzCeeykYj— GSRTC (@OfficialGsrtc) May 18, 2026
અમદાવાદ-સુરત વચ્ચે ‘નોનસ્ટોપ વોલ્વો’ સેવા
બીજી તરફ, કેન્દ્ર સરકાર દ્વારા નિર્મિત ‘દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઇવે’ ના ગુજરાતના ખંડ પરથી પણ નવી લક્ઝુરિયસ વોલ્વો સેવાનો પ્રારંભ કરાયો છે. સવારે ૬:૪૫ કલાકે નહેરુનગર (અમદાવાદ) થી સુરત અને બપોરે ૧:૦૦ કલાકે સુરતથી નહેરુનગર (અમદાવાદ) વચ્ચે ખાસ ‘નોનસ્ટોપ વોલ્વો સર્વિસ’ શરૂ થઈ ચૂકી છે. એક્સપ્રેસ હાઇવેના કારણે મુસાફરોને સીધો ₹૬૧નો ફાયદો થશે અને આ પ્રીમિયમ સફર માટે માત્ર ₹૬૮૭ ભાડું ચૂકવવું પડશે.
ઓનલાઇન બુકિંગ શરૂ
વાહન વ્યવહાર નિગમે જણાવ્યું છે કે મુસાફરો આ તમામ પ્રીમિયમ બસોનું એડવાન્સ બુકિંગ GSRTCની સત્તાવાર વેબસાઇટ www.gsrtc.in અથવા તેમની ઓફિશિયલ મોબાઇલ એપ્લિકેશન (gsrtcapp) પરથી ઘેરબેઠા કરી શકે છે. હાઇવે આધુનિક હોવાથી મુસાફરીના સમયમાં પણ મોટો બચાવ થશે.
