ગાંધીનગર: ભારત સરકાર દ્વારા હાથ ધરવામાં આવનાર ‘જનગણના ૨૦૨૭’ અન્વયે ગુજરાતમાં આજથી એક ઐતિહાસિક અને આધુનિક પ્રક્રિયાનો પ્રારંભ થયો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાના પરિવારની વિગતો ઓનલાઈન સબમિટ કરીને રાજ્યવ્યાપી ‘સ્વ-ગણતરી’ (Self-Enumeration) પદ્ધતિનો ઔપચારિક પ્રારંભ કરાવ્યો છે. આ વખતે દેશના ઇતિહાસમાં પ્રથમ વખત નાગરિકોને પોતાની વિગતો જાતે જ ડિજિટલ માધ્યમથી સબમિટ કરવાની સ્વાયત્તતા આપવામાં આવી છે.
૧૫ દિવસનો સમયગાળો: ૩૧ મે સુધી ફોર્મ ભરી શકાશે
રાજ્યના નાગરિકો આજથી એટલે કે ૧૭ મે થી ૩૧ મે, ૨૦૨૬ સુધીના નિર્ધારિત ૧૫ દિવસના સમયગાળા દરમિયાન આ રાષ્ટ્રીય કવાયતમાં ભાગ લઈ શકશે. મુખ્યમંત્રીએ ગુજરાતના તમામ નાગરિકોને સક્રિયપણે આ પ્રક્રિયામાં જોડાવા અને સશક્ત તેમજ વિકસિત ભારતના નિર્માણમાં પોતાનું યોગદાન આપવા આહવાન કર્યું છે. આ ડિજિટલ પ્લેટફોર્મ સંપૂર્ણપણે સરળ, સુરક્ષિત અને અનુકૂળ બનાવવામાં આવ્યું છે.
કેવી રીતે કરશો ઓનલાઈન રજીસ્ટ્રેશન?
નાગરિકો કોઈપણ જગ્યાએથી પોતાના મોબાઈલ અથવા કમ્પ્યુટર દ્વારા સત્તાવાર પોર્ટલ https://se.census.gov.in/ પર જઈને જરૂરી માર્ગદર્શન મેળવી પોતાની અને પોતાના પરિવારની વિગતો ઓનલાઈન ભરી શકે છે. આ ડિજિટલ મોડને કારણે સમયની બચત થશે અને વસ્તી ગણતરીના આંકડા વધુ સચોટ અને પારદર્શક બનશે.
જૂન મહિનામાં શરૂ થશે ‘હાઉસ લિસ્ટીંગ ઓપરેશન્સ’
ઓનલાઈન સ્વ-ગણતરીનો આ તબક્કો પૂર્ણ થયા બાદ, આગામી ૧ જૂન થી ૩૦ જૂન, ૨૦૨૬ દરમિયાન સમગ્ર ગુજરાતમાં બીજા તબક્કાની કામગીરી શરૂ થશે. આ અંતર્ગત રાજ્યભરમાં ૧ લાખથી વધુ વસ્તી ગણતરી કાર્યકર્તાઓ (Enumerators) દ્વારા ‘હાઉસ લિસ્ટીંગ ઓપરેશન્સ’ (HLO) હાથ ધરીને બાકી રહેલા ઘરોની મુલાકાત લેવામાં આવશે અને વિગતો ચકાસવામાં આવશે.
મુખ્યમંત્રીએ જ્યારે પોતાની વિગતો સબમિટ કરી, તે પ્રસંગે રાજ્યના વસ્તી ગણતરી સંચાલન નિયામક સુજલ મયાત્રાએ તેમને સ્મૃતિચિહ્ન અર્પણ કરીને જનગણનાની આગામી વિવિધ પ્રવૃત્તિઓ અને તકનીકી માળખા અંગે વિગતવાર માહિતી પૂરી પાડી હતી.