ગાંધીનગર: સમગ્ર ગુજરાતમાં હાલ ગ્લોબલ વોર્મિંગના કારણે સૂર્યદેવતા આકરા પાણીએ થયા છે અને ગરમીનો પારો સતત રેકોર્ડ તોડી રહ્યો છે. મનુષ્યો તો ગરમીથી બચવા માટે ઘરોમાં કે એસીમાં પુરાઈ રહે છે, પરંતુ પ્રાણી સંગ્રહાલયના અબોલ વન્યજીવોને આ હીટવેવ અને બળબળતા તાપથી બચાવવા માટે ગાંધીનગરના પ્રખ્યાત ‘ઇન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાન’ (Indroda Nature Park) ખાતે વન વિભાગ દ્વારા અત્યંત પ્રશંસનીય અને વિશેષ આયોજન હાથ ધરવામાં આવ્યું છે. વન અને પર્યાવરણ મંત્રી શ્રી અર્જુન મોઢવાડીયા તેમજ રાજ્ય મંત્રી પ્રવીણ માળીના સીધા માર્ગદર્શન હેઠળ ‘ગીર’ (GEER) ફાઉન્ડેશન દ્વારા સંચાલિત આ ઝૂમાં એપ્રિલ મહિનાથી જ ખાસ વ્યવસ્થાઓ ગોઠવી દેવાઈ છે, જે ચોમાસું બેસતા સુધી રાઉન્ડ ધ ક્લોક કાર્યરત રહેશે.
આધુનિક સંસાધનો અને ટેક્નોલોજીની મદદથી ઊભું કરાયું ‘માઇક્રો ક્લાઇમેટ’
ગાંધીનગરના હૃદય સમાન ઇન્દ્રોડા પાર્કમાં હાલમાં ૩ સિંહ, ૨ વાઘ, ૩ દીપડા, મીઠા પાણીના વિશાળ મગર, શાહુડી સહિત દુર્લભ પક્ષીઓ અને સરીસૃપો મળીને કુલ ૬૦૦ કરતાં વધારે વન્યજીવો વસવાટ કરે છે. આ તમામ જીવોને હીટ સ્ટ્રોકથી સુરક્ષિત રાખવા વન વિભાગે નીચે મુજબની હાઈટેક વ્યવસ્થાઓ કરીને તાપમાનમાં ૨°C થી ૪°C જેટલો નોંધપાત્ર ઘટાડો કર્યો છે:
જમ્બો ટેન્ટ એર કૂલર્સ: હિંસક અને માંસાહારી વન્યજીવોના આવાસ તેમજ સર્પગૃહ (Snake House) માં કુલ ૧૫ નંગ જમ્બો એર કૂલર્સ ફિટ કરાયા છે, જે બપોરના આકરા તાપમાં સતત ચાલુ રાખવામાં આવે છે.
પોપ-અપ હાઇ-પ્રેશર સ્પ્રીંક્લર્સ: વન્યજીવોના ખુલ્લા આવાસ વિસ્તારોમાં ઠંડક આપવા માટે ખાસ ૨૦ હાઇ-પ્રેશર ફુવારા ગોઠવવામાં આવ્યા છે, જે બપોરે ૧:૦૦ થી ૫:૦૦ વાગ્યા દરમિયાન કૃત્રિમ વરસાદની જેમ સતત કાર્યરત રહી કુદરતી ઠંડક પ્રસરાવે છે.
ખસના પડદા અને એગ્રોનેટ શેડ: માંસાહારી પ્રાણીઓ અને પક્ષીઓના પાંજરાની આસપાસ પરંપરાગત ખસના પડદા લગાવી તેના પર સમયાંતરે પાણીનો છંટકાવ કરાય છે, જેથી ગરમ લૂ ઠંડા પવનમાં બદલાઈ જાય છે. ઉપરાંત તડકાથી બચવા એગ્રોનેટના વિશેષ શેડ ઊભા કરાયા છે.
ડાયેટ પ્લાનમાં વૈજ્ઞાનિક ફેરફાર: સિંહ-વાઘના મટન કાપમાં ઘટાડો, પક્ષીઓને તરબૂચ-સક્કરટેટી
ઉનાળા દરમિયાન પ્રાણીઓનું પાચનતંત્ર ન બગડે અને શરીરમાં પાણીનું સ્તર જળવાઈ રહે તે માટે વેટરનરી સાયન્સના નિયમો મુજબ આહારમાં મોટો ફેરફાર કરાયો છે. વધુ આહારના કારણે પ્રાણીઓને આફરો ચડવાની સમસ્યા ન થાય તે માટે હિંસક વન્યજીવોના દૈનિક માસ આહારમાં ૫૦૦ ગ્રામથી ૧ કિલોગ્રામ જેટલો ઘટાડો કરાયો છે. બીજી તરફ, પક્ષીઓ અને તૃણાહારી પ્રાણીઓ માટે દૈનિક આહારમાં ઠંડક આપનારા ફળો જેવા કે તડબૂચ, સક્કર ટેટી અને કાકડીનો વિશેષ સમાવેશ કરાયો છે. પ્રાણીઓને હીટ સ્ટ્રોકથી બચાવવા માટે પાણીમાં વિટામીન-સી યુક્ત ઓરલ રીહાઇડ્રેટીંગ પાઉડર (ORS) તેમજ મલ્ટી મિનરલ-વિટામીન સપ્લીમેન્ટ્સ નિયમિત મિક્સ કરીને આપવામાં આવે છે.
મુક્ત વિહાર કરતા પ્રાણીઓ માટે ખાસ વોટર પોઇન્ટ્સ અને ૨૪ કલાક ડોક્ટર્સની ટીમ
ઇન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાન એ એક મોટો રક્ષિત વન વિસ્તાર હોવાથી અહીં પાંજરામાં કેદ પ્રાણીઓ ઉપરાંત હનુમાન લંગુર, નીલગાય, મોર અને શાહુડી જેવા અનેક વન્યજીવો જંગલમાં મુક્તપણે વિહાર કરે છે. ઉનાળામાં આ મુક્ત વન્યજીવો તરસ્યા ન રહે તે માટે સમગ્ર જંગલ વિસ્તારમાં અલગ-અલગ સ્થાનો પર વિશેષ વોટર પોઇન્ટ્સ (અવેડા) બનાવવામાં આવ્યા છે, જેમાં રોજ સફાઈ કરીને ઠંડુ પાણી ભરવામાં આવે છે. અબોલ જીવોની ત્વરિત સારવાર માટે અનુભવી પશુ ચિકિત્સકો (Veterinary Doctors) ની ૨૪ કલાક રાઉન્ડ-ધ-ક્લોક સેવા ઉપલબ્ધ રખાઈ છે જે તમામ પ્રાણીઓનું પળેપળનું હેલ્થ મોનિટરિંગ કરી રહ્યા છે.
