વલ્લભ વિદ્યાનગર: સરદાર પટેલ યુનિવર્સિટીના રાજ્યશાસ્ત્ર વિભાગ દ્વારા રાષ્ટ્રીય યુવા દિવસ નિમિત્તે એક વિશેષ વ્યાખ્યાનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. યુનિવર્સિટીના કુલપતિ પ્રો. નિરંજન પટેલના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમનો મુખ્ય હેતુ સ્વામી વિવેકાનંદના તેજસ્વી વિચારો અને આદર્શોને વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવાનો હતો.
પૂર્વગ્રહ મુક્ત બની લક્ષ્ય પ્રાપ્ત કરો
કાર્યક્રમના મુખ્ય વક્તા તરીકે જાણીતા તત્વચિંતક અને ડેપ્યુટી મામલતદાર ચૈતન્ય સંઘાણી ઉપસ્થિત રહ્યા હતા. તેમણે વિદ્યાર્થીઓને પ્રેરણા આપતા જણાવ્યું કે, “આજના યુવાનોએ મહાપુરુષોના માત્ર જીવન પ્રસંગો જ નહીં, પરંતુ તેમના કાર્યો પાછળની ગહન ફિલસૂફી અને શિસ્તમાંથી શીખ મેળવવી જોઈએ.” તેમણે વિશેષ ભાર મૂકતા ઉમેર્યું કે, કોઈપણ વ્યક્તિ કે વિષય પ્રત્યે અગાઉથી પૂર્વગ્રહ રાખવાને બદલે શુદ્ધ મનથી તેમાં રસ દાખવીને આગળ વધવું એ જ સાચી પ્રગતિ છે.
સંસ્કૃતિ અને અધ્યાત્મનો સમન્વય
વક્તાએ ભારતીય સંસ્કૃતિ અને અધ્યાત્મ વિશે વાત કરતા કહ્યું હતું કે, યુવાનોએ આપણા ભવ્ય વારસાનો ઊંડો અભ્યાસ કરવો જોઈએ. વિવિધ મહાપુરુષોના જીવનના ઉદાહરણો દ્વારા તેમણે વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ અને સામાજિક જવાબદારીની ભાવના જગાડી હતી.
વિભાગીય આયોજન અને સહભાગીતા
આ વિશેષ વ્યાખ્યાનનું સુંદર આયોજન રાજ્યશાસ્ત્ર વિભાગના ડૉ. અર્પિત પાટડિયા દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઇતિહાસ અને રાજ્યશાસ્ત્ર વિભાગના મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને સંશોધકો હાજર રહ્યા હતા. કાર્યક્રમના અંતે પ્રાધ્યાપક ધવલ ચૌહાણે તમામનો આભાર વ્યક્ત કર્યો હતો.
