ગાંધીનગર: ભારત સરકારના ગૃહ મંત્રાલય હેઠળના જનગણના કાર્ય નિદેશાલય દ્વારા આગામી ‘જનગણના 2027’ ની જાહેરાત કરવામાં આવી છે. ગાંધીનગર ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં વસ્તી ગણતરી નિયામક સુજલ જે. મયાત્રાએ જણાવ્યું કે, આ વખતે જનગણના સંપૂર્ણપણે ડિજિટલ માધ્યમથી હાથ ધરવામાં આવશે. વર્ષ 2011 પછી લાંબા વિરામ બાદ યોજાઈ રહેલી આ ગણતરી દેશના ભાવિ આયોજન માટે અત્યંત મહત્વની છે.
બે તબક્કામાં થશે કામગીરી
જનગણનાની પ્રક્રિયાને મુખ્ય બે ભાગમાં વહેંચવામાં આવી છે:
પ્રથમ તબક્કો (ઘરયાદી અને મકાનોની ગણતરી): ગુજરાતમાં તા. 1 જૂન થી 30 જૂન, 2026 દરમિયાન આ કામગીરી ચાલશે. જેમાં આવાસ, પીવાનું પાણી, શૌચાલય જેવી સુવિધાઓને લગતા કુલ 34 પ્રશ્નો પૂછવામાં આવશે.
બીજો તબક્કો (વસ્તીની ગણતરી): તા. 9 ફેબ્રુઆરી થી 28 ફેબ્રુઆરી, 2027 દરમિયાન વસ્તી ગણતરી અને જાતિ ગણતરીની કામગીરી પૂર્ણ કરવામાં આવશે.
‘સ્વ-ગણતરી’ (Self-Enumeration) નો નવો વિકલ્પ
ટેકનોલોજીના યુગમાં આ વખતે નાગરિકોને પોતાની વિગતો જાતે ભરવાની સુવિધા આપવામાં આવી છે.
- ક્યારે: ઉત્તરદાતાઓ તા. 17 મે થી 31 મે, 2026 દરમિયાન પોતાની વિગતો ભરી શકશે.
- ક્યાં: અધિકૃત પોર્ટલ https://se.census.gov.in પર લોગિન કરીને વિગતો ભરી શકાશે.
- પ્રક્રિયા: સ્વ-ગણતરી કર્યા બાદ એક SE ID પ્રાપ્ત થશે, જે ગણતરીદાર જ્યારે તમારા ઘરે આવે ત્યારે તેમને આપવાનો રહેશે.
ડેટા સુરક્ષા અને તંત્રની સજ્જતા
આ ભગીરથ કાર્ય માટે કેન્દ્ર સરકાર દ્વારા રૂ. 11,718.24 કરોડનું બજેટ મંજૂર કરાયું છે. ગુજરાતમાં આ કામગીરી માટે 1.09 લાખથી વધુ ગણતરીદારો અને 18 હજારથી વધુ સુપરવાઇઝરો તૈનાત રહેશે. નિયામકએ ખાતરી આપી છે કે જનગણના અધિનિયમ હેઠળ તમામ વ્યક્તિગત માહિતી ગુપ્ત રાખવામાં આવશે અને તેનો ઉપયોગ કાયદાકીય કે ટેક્સના હેતુ માટે થઈ શકશે નહીં. કોઈપણ મૂંઝવણ કે માહિતી માટે નાગરિકો ટોલ-ફ્રી નંબર 1855 પર સંપર્ક કરી શકે છે.
