ગાંધીનગર: ગુજરાત રાજ્યના પોલીસ વડા (DGP) ડૉ. કે. એલ. એન. રાવ દ્વારા પોલીસ વિભાગની કાર્યપદ્ધતિમાં ધરમૂળથી ફેરફાર લાવતા મહત્વના આદેશો જારી કરવામાં આવ્યા છે. રાજ્યના તમામ ફિલ્ડ યુનિટ અને જિલ્લા પોલીસ વડાઓ સાથે યોજાયેલી બેઠકમાં તેમણે ઈંધણ, સમય અને સરકારી સંસાધનોની બચત કરવા પર ભાર મૂક્યો છે. આ નવા આદેશો મુજબ, હવે પોલીસ વિભાગમાં બિનજરૂરી મુસાફરી ટાળીને ટેકનોલોજીનો વ્યાપ વધારવામાં આવશે.
પાયલોટિંગ અને એસ્કોર્ટ સુવિધામાં કાપ
DGP ડૉ. રાવે સ્પષ્ટ સૂચના આપી છે કે એસ્કોર્ટ અને પાયલોટીંગની સુવિધા માત્ર તે જ મહાનુભાવોને મળશે જેઓ નિયત કેટેગરી મુજબ પાત્રતા ધરાવતા હોય. સામાન્ય સંજોગોમાં પાયલોટીંગ માટે ફોર-વ્હીલરને બદલે શહેરી વિસ્તારમાં મોટરબાઈકનો ઉપયોગ કરવા જણાવાયું છે. પ્રોટોકોલ વગર કોઈપણ વ્યક્તિ માટે ગાઈડ-કાર કે પાયલોટીંગની ફાળવણી ન કરવા કડક તાકીદ કરવામાં આવી છે.
ડિજિટલ મીટિંગ અને ‘ન્યાયશ્રુતિ’ પ્રોજેક્ટ
હવેથી પોલીસ વિભાગની તમામ ક્રાઈમ કોન્ફરન્સ અને વહીવટી મીટિંગો રૂબરૂ મળવાને બદલે ફરજિયાતપણે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી યોજાશે. સરકારી વકીલ સાથેના બ્રિફિંગ માટે અધિકારીઓએ રૂબરૂ જવાને બદલે ટેલિફોનિક ચર્ચા કરવી પડશે. ‘ન્યાયશ્રુતિ’ પ્રોજેક્ટ હેઠળ સાક્ષી કે જુબાની આપવાની પ્રક્રિયાને ઓનલાઈન પ્રાધાન્ય આપવા સૂચના અપાઈ છે, જેથી મુસાફરીનો ખર્ચ અને સમય બંને બચાવી શકાય.
બંદોબસ્ત અને સ્ટાફ મેનેજમેન્ટ
બંદોબસ્ત માટે ફોર્સની ફાળવણીમાં પણ નવો અભિગમ અપનાવવામાં આવ્યો છે. જે તે વિસ્તારના નજીકના પોલીસ સ્ટેશનમાંથી જ સ્ટાફ ફાળવવો અને અલગ-અલગ વાહનોને બદલે ચોક્કસ પીક-અપ પોઈન્ટ નક્કી કરી એક જ વાહનમાં મુસાફરી કરવા અથવા પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરવા જણાવાયું છે.
રાજ્ય પોલીસ વડાના આ ક્રાંતિકારી નિર્ણયથી સરકારી તિજોરી પરનું ભારણ ઘટશે અને પોલીસ અધિકારીઓ તપાસ તથા કાયદો-વ્યવસ્થાની જાળવણીમાં વધુ સમય ફાળવી શકશે.
