પાકિસ્તાન દ્વારા સાયક્લોન ‘દિત્વાહ’થી પ્રભાવિત તેના પાડોશી દેશ શ્રીલંકાને મોકલાયેલી માનવતાવાદી સહાય સામગ્રી (Relief Aid)ને લઈને એક મોટો વિવાદ ઊભો થયો છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી તસવીરો અને શ્રીલંકા તરફથી મળેલા ગંભીર અહેવાલો મુજબ, પાકિસ્તાને પૂર રાહત માટે જે ફૂડ પેકેટ અને દવાઓ મોકલી છે, તેમાંથી મોટા ભાગનો જથ્થો એક્સપાયર્ડ અને બિનઉપયોગી હોવાનું જણાયું છે.
શ્રીલંકામાં પાકિસ્તાન હાઇ કમિશને તાજેતરમાં ટ્વીટ કરીને ગર્વ સાથે જણાવ્યું હતું કે : “હંમેશા સાથે ઊભા છીએ! ??❤️?? પાકિસ્તાન તરફથી રાહત પેકેજો શ્રીલંકાના અમારા ભાઈઓ અને બહેનોને તાજેતરના પૂરથી અસરગ્રસ્ત લોકોને મદદ કરવા માટે સફળતાપૂર્વક વિતરિત કરવામાં આવ્યા છે, જે અમારી અડગ એકતા દર્શાવે છે. PAKISTAN STANDS WITH SRI LANKA TODAY AND ALWAYS.”
જોકે, આ પોસ્ટ પછી તરત જ સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા શેર કરાયેલી તસવીરોએ સમગ્ર મામલાનો પર્દાફાશ કરી દીધો.
ફૂડ પેકેટ પર સ્પષ્ટ લખેલી હતી એક્સપાયરી ડેટ
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા રાહત સામગ્રીના પેકેટની તસવીરોમાં સ્પષ્ટપણે જોવા મળે છે કે દૂધ, બિસ્કિટ અને અન્ય ખાદ્ય વસ્તુઓ પરની એક્સપાયરી ડેટ ઓક્ટોબર ૨૦૨૪ લખેલી છે. તારીખ ૨જી ડિસેમ્બર, ૨૦૨૫ના રોજ મોકલવામાં આવેલી આ સામગ્રી એક વર્ષથી વધુ સમય પહેલાં જ એક્સપાયર થઈ ચૂકી હતી.
શ્રીલંકાએ પણ ઔપચારિક રીતે પાકિસ્તાન દ્વારા મોકલાયેલી દવાઓ એક્સપાયર્ડ હોવા અને ફૂડ પેકેટ બિનઉપયોગી હોવા અંગે ગંભીર ચિંતાઓ વ્યક્ત કરી છે.
નેટિઝન્સમાં રોષ: બેદરકારી અને સંવેદનહીનતાનો આક્ષેપ
આ ઘટનાએ આંતરરાષ્ટ્રીય સોશિયલ મીડિયા પર મોટો હોબાળો મચાવ્યો છે. નેટિઝન્સ પાકિસ્તાન સરકાર પર આકરા પ્રહારો કરી રહ્યા છે. લોકો પાકિસ્તાન પર બેદરકારી અને સંવેદનહીનતાનો આરોપ લગાવી રહ્યા છે, કેમ કે કટોકટીના સમયમાં ગુણવત્તા વગરની અને ઝેરી બની શકે તેવી સામગ્રી મોકલવી એ માનવતા વિરુદ્ધનો ગુનો ગણાય.
અગાઉ પણ એવા અહેવાલો આવ્યા છે કે ઇસ્લામાબાદે અન્ય દેશો પાસેથી જૂની સહાય મેળવી હોય અથવા માનવતાવાદી સહાયના નામે જૂનો અને બિનઉપયોગી માલ મોકલ્યો હોય. સોશિયલ મીડિયા યુઝર્સ એવો પણ આક્ષેપ કરી રહ્યા છે કે મોકલાયેલી સામગ્રીનો જથ્થો માત્ર અમુક મુઠ્ઠીભર પરિવારો માટે પણ પૂરતો નહોતો.
આ વિવાદના પગલે બંને દેશોની સરકારો પાસેથી આ મામલે જવાબદેહી નક્કી કરવાની માંગ વધી રહી છે. આ તસવીરો વૈશ્વિક સ્તરે સતત ફેલાઈ રહી છે, જેના કારણે પાકિસ્તાનની છબી ખરડાઈ છે.
