મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારે ગુજરાતના શહેરી વિસ્તારોમાં વિકાસ કાર્યોને વધુ વેગ આપવા માટે એક મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો છે. રાજ્ય સરકારે નગરપાલિકાઓને વિવિધ યોજનાઓ હેઠળ થતા વિકાસ કામો માટે ટેકનિકલ અને વહીવટી મંજૂરી આપવાની સત્તામાં 50% નો વધારો કર્યો છે. આ નિર્ણયનો મુખ્ય ઉદ્દેશ્ય વિકાસ કામોને ઝડપી બનાવવાનો અને વહીવટી પ્રક્રિયાને સરળ બનાવવાનો છે.
આ નવા નિર્ણય અનુસાર, હવે નગરપાલિકા કક્ષાની સમિતિઓ દ્વારા જુદી-જુદી કેટેગરીની નગરપાલિકાઓમાં અલગ-અલગ મર્યાદા સુધીના કામોની મંજૂરી આપી શકાશે.
- ‘અ’ વર્ગની નગરપાલિકા: ₹70 લાખ સુધીના કામોને ટેકનિકલ અને વહીવટી મંજૂરી આપી શકાશે.
- ‘બ’ વર્ગની નગરપાલિકા: ₹50 લાખ સુધીના કામોને મંજૂરી મળી શકશે.
- ‘ક’ વર્ગની નગરપાલિકા: ₹40 લાખ સુધીના કામોને મંજૂરી આપી શકાશે.
- ‘ડ’ વર્ગની નગરપાલિકા: ₹30 લાખ સુધીના કામોને મંજૂરી મળશે.
આ નિર્ણયથી નાગરિકો માટે જરૂરી સુવિધાઓના કામો જેમ કે રસ્તા, ગટર વ્યવસ્થા, સ્ટ્રીટ લાઇટ અને અન્ય માળખાકીય સુવિધાઓના કામો ઝડપથી પૂરા થશે. નગરપાલિકા કક્ષાએ મંજૂરી મળ્યા બાદ, પ્રાદેશિક મ્યુનિસિપલ કમિશ્નરની કચેરી દ્વારા બે હપ્તામાં 100% ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવશે.
ગુજરાતના શહેરી વિસ્તારોમાં નગરપાલિકાઓ દ્વારા હાથ ધરાતા વિકાસ કામો વધુ ઝડપી બને તે માટે એક મહત્ત્વનો નિર્ણય કર્યો છે.
જે અંતર્ગત, વિવિધ યોજનાઓની ગ્રાન્ટમાંથી શહેરોમાં હાથ ધરાતા કામોની ટેકનિકલ અને વહીવટી મંજૂરી આપવાની સત્તામાં 50 ટકા જેટલો વધારો કરવામાં આવ્યો છે.
જે અનુસાર હવે,…— Bhupendra Patel (@Bhupendrapbjp) September 3, 2025
આ નિર્ણયથી ભંડોળનો મહત્તમ અને ઝડપી સદુપયોગ થશે. ગુજરાત સરકાર વર્ષ 2025ને ‘શહેરી વિકાસ વર્ષ’ તરીકે ઉજવી રહી છે, ત્યારે આ પગલું રાજ્યના શહેરોમાં ઝડપી અને સુઆયોજિત વિકાસ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે.