નવી દિલ્હી: ભારતીય જનતા પાર્ટી (BJP)ના વરિષ્ઠ અને અનુભવી નેતા વિજય કુમાર મલ્હોત્રાના નિધનથી રાજકીય જગતમાં શોકનું મોજું ફરી વળ્યું છે. જનસંઘના સમયથી લઈને ભાજપ સુધીની સફરમાં સંગઠનને મજબૂત બનાવવામાં તેમનું યોગદાન અવિસ્મરણીય રહ્યું છે. દિલ્હીના રાજકારણ અને સમાજ સેવા ક્ષેત્રે તેમનું યોગદાન હંમેશા યાદ કરવામાં આવશે.
તેમના નિધનના સમાચાર મળતાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દિલ્હી સ્થિત તેમના નિવાસસ્થાને પહોંચ્યા હતા અને દિવંગત નેતાને અંતિમ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. વડાપ્રધાન મોદીએ તેમના પરિવારજનો સાથે મુલાકાત કરીને સાંત્વના પાઠવી હતી.
Went to the residence of late Shri VK Malhotra Ji and paid tributes to him. Also expressed condolences to his family. His contribution to Delhi’s development and furthering our Party’s good governance agenda will be forever remembered. pic.twitter.com/BCcxgwzZzO— Narendra Modi (@narendramodi) September 30, 2025
વિજય કુમાર મલ્હોત્રાને શ્રદ્ધાંજલિ આપવા માટે રાજકીય અને સામાજિક ક્ષેત્રના અનેક દિગ્ગજો તેમના નિવાસસ્થાને ઉમટી પડ્યા હતા. પૂર્વ રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદ, દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા, અને દિલ્હીના શિક્ષણ મંત્રી આશિષ સૂદએ પણ સ્વર્ગસ્થ નેતાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ મલ્હોત્રાના પરિવારના સભ્યોને મળીને ઊંડી સંવેદના વ્યક્ત કરી હતી.
ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા ડૉ. સુધાંશુ ત્રિવેદીએ X (ટ્વિટર) પર પોસ્ટ કરીને દુઃખ વ્યક્ત કર્યું હતું. તેમણે લખ્યું કે, “ભાજપના વરિષ્ઠ નેતા વિજય કુમાર મલ્હોત્રાના નિધનથી હું ખૂબ જ દુઃખી છું. જનસંઘથી ભાજપ સુધીની સફરમાં સંગઠનને આકાર આપવામાં તેમનું યોગદાન ભૂલી શકાય તેમ નથી. ભગવાન તેમના આત્માને શાંતિ આપે. ઓમ શાંતિ!”
રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ પણ X પર શોક સંદેશ વ્યક્ત કરતા જણાવ્યું કે, “ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા વિજય કુમાર મલ્હોત્રાજીના નિધનના સમાચાર અત્યંત હૃદયદ્રાવક છે. હું ભગવાનને પ્રાર્થના કરું છું કે તેઓ દિવંગત આત્માને તેમના પવિત્ર ચરણોમાં સ્થાન આપે અને શોકગ્રસ્ત પરિવારને આ આઘાત સહન કરવાની શક્તિ આપે.”
વિજય કુમાર મલ્હોત્રાનું જાહેર જીવનમાં લાંબુ અને સમર્પિત યોગદાન રહ્યું છે. તેમનું જનસંઘ અને ભાજપ સંગઠન પ્રત્યેનું સમર્પણ પક્ષના કાર્યકરો માટે હંમેશા પ્રેરણાદાયી રહેશે.
