ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ભારત-પાકિસ્તાન સરહદી ગામોની સીમાવર્તી સમીક્ષા અને સામાજિક-આર્થિક સ્થિતિથી માહિતગાર થવા માટે કચ્છ જિલ્લાના લખપત તાલુકાના પુનરાજપર ગામની મુલાકાત લીધી હતી. આ મુલાકાતનો પ્રારંભ તેમણે માતાના મઢ ખાતે આશાપુરા માતાજીના દર્શન-પૂજા-અર્ચન કરીને કર્યો હતો.
સરહદી ગ્રામજનો સાથે સંવાદ અને માર્ગદર્શન
પુનરાજપર ખાતે ‘ભારત માતા કી જય’ના નારાઓ સાથે નાયબ મુખ્યમંત્રીનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમણે ગામના સરપંચ, વડીલો અને યુવાનો સાથે આત્મીય સંવાદ સાધીને ગામની સુખ-સુવિધાઓ અને સામાજિક-આર્થિક પરિસ્થિતિનો ખ્યાલ મેળવ્યો હતો.
ડેપ્યુટી સીએમની અપીલ:
નાયબ મુખ્યમંત્રીએ સરહદી ગ્રામજનોને સજાગ રહેવા જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, “તમે સૌ લોકોએ આ સરહદોને વર્ષોથી સાચવવાનું કામ કર્યું છે.” તેમણે ગામલોકોને સૂચના આપી હતી કે, “સીમાના ગામોમાં નવો માણસ રહેવા આવે એટલે પોલીસ સાથે સંકલન કરવું.” આ ઉપરાંત, હર્ષ સંઘવીએ જણાવ્યું કે છેવાડાના ગામડાઓનો વિકાસ થાય અને લોકોને તમામ સુવિધાઓ પ્રાપ્ય બને તે રાજ્ય સરકારની નેમ છે.
IPS અધિકારીઓ સાથે ૪૦ મુદ્દાઓ પર સમીક્ષા
નાયબ મુખ્યમંત્રીની આ મુલાકાતમાં તેમની સાથે રાજ્યના ૩૦ IPS અધિકારીઓ પણ જોડાયા હતા. આ સમગ્ર ટીમ સરહદી ગામડાઓની મુલાકાત લઈને શિક્ષણ, આરોગ્ય, સામાજિક-આર્થિક પરિસ્થિતિ, માળખાકીય સુવિધાઓ સહિતના વિવિધ ૪૦ જેટલા મુદ્દાઓ પર ગ્રામજનો સાથે ઊંડાણપૂર્વક ચર્ચા કરી તેનો ડિટેઇલ રિપોર્ટ તૈયાર કરશે. આ મુલાકાત દ્વારા સરહદી વિસ્તારોના વિકાસ માટેની ભવિષ્યની રણનીતિ ઘડવામાં આવશે.
સાંસ્કૃતિક વિરાસત અને શુભેચ્છા મુલાકાત
હર્ષ સંઘવીએ લખપત કિલ્લાની પણ મુલાકાત લીધી હતી અને ટ્વીટ કર્યું હતું કે, “કચ્છ એ કેવળ રણ નથી, ગુજરાતની અસ્મિતાનું તોરણ છે!” આ ઉપરાંત, તેમણે લખપત તાલુકામાં ગુરુદ્વારાના દર્શન કરીને અલૌકિક શાંતિની અનુભૂતિ કરી હતી અને શીખ સમાજને પવિત્ર પર્વ ગુરુપુરબની શુભકામનાઓ પાઠવીને તેમની સાથે આત્મીય સંવાદ કર્યો હતો.
